રાજ્યમાં હજુ પણ આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાકમાં દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે.
રાજ્યમાં 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, જામનગર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તો અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ ઉપરાંત દાહોદ, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે વલસાડ અને નવસારીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ભારેથી અતિભારે વરસાદને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયા છે.
દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ
તો આ તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. વરસાદની આગાહીના પગલે દરિયાઈ વિસ્તારોના જિલ્લાઓમાં તંત્રને અલર્ટ કરી દેવાયું છે. જેથી કરીને કોઈ મુશ્કેલી સર્જાઈ તો તેનો સામનો કરી શકાય.
રેલવે ટ્રેક ધોવાતા ટ્રેન રદ્દ
રાજ્યમાં પડેલા ભારે વરસાદની અસર ટ્રેન વ્યવહાર પર પણ પડી છે. ટ્રેક ધોવાણના કારણે અનેક ટ્રેનો રદ કરવી પડી છે. મળતી માહિતી પ્રમાણે, 12 ઓગસ્ટની બરેલી-ભુજ એક્સપ્રસ, 13 ઓગસ્ટની શ્રીગંગાનગર-કોચુવેલી ટ્રેન, 14 ઓગસ્ટની કામખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને એર્નાકુલમ-મેંગ્લોર વચ્ચે ટ્રેન પણ રદ્દ કરવામાં આવી છે.
વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર
વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર આવી ગયા છે. મળતી માહિતી પ્રમાણે, વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં ઘટાડો થયો છે. નદીની જળસપાટી ઘટીને 28.50 ફૂટ થઈ ગઈ છે. બીજી તરફ આજવા સરોવરની સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ સરોવરની જળસપાટી 211.90 ફૂટ નોંધાઈ છે.
દિવસભરમાં NDRFએ 115 લોકોનું કર્યુ રેસ્ક્યુ
સરહદી હાજીપીરમાં પુરની સ્થિતિને લઈ NDRFની ટીમ તૈનાત થઇ ગઇ છે. દિવસભરમાં NDRFએ 115 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. સ્થિતિને ધ્યાને લઈ હેલીકોપ્ટરની મદદ લેવામાં આવી છે. હાજીપીર સહિતના વિસ્તારમાં 10 ઈંચ વરસાદ થયો છે. હજુપણ દૂર્ગમ વિસ્તારમાં રેસ્ક્યુ કામગીરી ચાલુ છે.
રાજ્યમાં ક્યાં મેઘતાંડવ?
અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે કચ્છમાં ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે. બીજી તરફ જામનગરના જોડીયા તાલુકામાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે વટામણ ગામથી ભાવનગર હાઈ-વે બંધ થઇ ગયો છે. આણંદ જિલ્લામાં ઝરમર વરસાદ હજુ પણ યથાવત છે. ભારે વરસાદના પગલે કડાણા ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમનાં 7 દરવાજા બંધ કરવામાં આવ્યાં છે. હાલ ડેમનો માત્ર એક દરવાજો ખુલ્લો છે. જૂનાગઢની ઓઝત વિયર-2 ડેમના દરવાજા ખોલવામાં આવતા ઓઝત નદી ગાંડીતૂર થઈ છે. ડેમના દરવાજા ખોલાતા ઓઝતના પાણી ઘેડ પંથકમાં ઘુસ્યા છે.