અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે અને ખેડૂતોની આશા પ્રમાણે વરસાદ ન વરસ્યો. જેની અસર ખેડૂતોને વેઠવી પડી રહી છે.
ત્યારે અમદાવાદ જિલ્લાના ખેડૂતોની હાલત પાણી ન મળવાના કારણે કફોડી બની છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતોને ફતેવાડી કેનાલનું પાણી ન મળતા અને વરસાદ ન વરસતા ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે આ તમામ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
દર વર્ષની સરખામણીમાં ડાંગરનું ઉત્પાદનમાં ઘટાડો થયો છે. એક તરફ પાણીની તંગી અને માર્કેટમાં પૂરતો ભાવ ન મળતા ખેડૂતોની હાલત દયનીય બની છે. સિંચાઇના પાણીના અભાવે ડાંગરનું 60થી 70 ટકા ઉત્પાદન ઘટ્યું છે. દરવર્ષે ખેડૂતો વીઘે 60થી 70 મણ ડાંગરને બદલે આ વર્ષે 10થી 15 મણ ડાંગરનો જ ઉતારો કરાયો છે.
આ જોઈને સ્પષ્ટ થાય છે કે આ વર્ષે ખેડૂતોની હાલત શું હશે? બાવળાના ખેડૂતોને ખારીકટ કેનાલનું પાણી પૂરતું ન મળતા તેમનો પણ રોવાનો વારો આવ્યો છે. ઓછું ઉત્પાદન છતાં ટેકના ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
આ મામાલે વીટીવી ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો અને ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.