ઉનાળો આવે એટલે શહેરથી માંડીને ગ્રામ્યકક્ષાએ પાણીને લઈને બુમબરાડા શરૂ થઈ જાય.વિરોધ પ્રદર્શનો શરૂ થઈ જાય.
તખતગઢની અનોખી પહેલ
પાણીનો પળોજણ બની ભૂતકાળ
'વાસ્મો' યોજનાને ગ્રામજનોએ અપનાવી
પરંતુ આજે આપને સાબરકાંઠા જિલ્લાના એક એવા ગામની મુલાકાત કરાવવી છે.જ્યાં પાણીની પળોજણ હવે ભૂતકાળ બની ગઈ છે.એટલું જ નહીં ઘરમાં નળની ચકલી ખોલો એટલે 24 સે કલાક પાણી મળે.
ઉનાળો આવતા જ રાજ્યના છેવાડાના ગામડાઓમાં અને શહેરોમાં પાણીની પળોજણ શરૂ થઈ જાય છે અને મહિલાઓ ઘડા ફોડી વિરોધ પ્રદર્શનો પર ઉતરી પડે છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામમાં હવે પાણીની પળોજળ ભૂતકાળ બની ગઈ છે.આ ગામમાં તમે કોઈપણ ઘરે જઈને ગમે ત્યારે પાણીનો નળ ચાલું કરો એટલે પીવાનું પાણી મળશે.
ત્રીજા માળે પણ ચડી જાય છે પાણી
એટલું જ નહીં કોઈ મકાન ત્રણ માળનું છે તો ત્રીજા માળે પણ નળની ચકલી ખોલતા ફોર્સ સાથે પાણી મળી રહે છે.તખતગઢ ગામના લોકોએ સાચા અર્થમાં પરિવર્તનને અપનાવી.પાણીની કિંમતને સમજી છે.પાણીનો બગાડ અટકાવવા ઘરે ઘરે મિટરો લગાવ્યા છે અને આ આયોજનની અસર જોવા પણ મળી. ગામમાંથી ગંદગી તો દૂર થઈ.પરંતુ તેની સાથે-સાથે પાણીનો બગાડ અટકતા હવે 365 દિવસ 24 સે કલાક લોકોને પાણી મળી રહે છે.
કેવી રીતે ઉપલબ્ધ થઈ 24 કલાક પાણીની સુવિધા
મહત્વનું છે કે આ ગામમાં 24 સે કલાક પાણીની સુવિધા કેવી રીતે શક્ય બની.તો આપને જણાવી દઈએ કે, ગામમાં પાણીની તંગી નિવારવા સમસ્ત ગામે એકઠા થઈને મિટર લગાવવાનો નિર્ણય કર્યો અને એમાં રાજ્ય સરકારની 'વાસ્મો' યોજનાની મદદ મેળવી. ત્યાર બાદ એક લાખ લીટર પાણીનો ટાંકો ગામમાં બનાવાયો, આ તમામ પ્રકારના ખર્ચાઓમાં ગામ લોકોને સરકારની પણ મદદ મળી.આમ તમામ ગામના લોકોએ પાણીની કિંમત પણ સમજી.. અને આજે ગામમાંથી કાયમી માટે પાણીની સમસ્યા જ દૂર થઈ ગઈ..
આ પહેલને વીટીવી ન્યૂઝ આવકારે છે
તખતગઢ ગામના લોકોએ ન માત્ર પાણીની સમસ્યાનું જ નિવારણ લાવ્યું.પરંતુ ગ્રામ પંચાયતની તમામ યોજનાઓનો લાભ લઈને ગામને સ્વચ્છ ગામ પણ બનાવ્યું.. ગામ લોકોની આ પહેલની સરકારે પણ નોંધ લીધી છે.ભારત સરકાર દ્વારા પશ્ચિમ ઝોન શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ પણ તખતગઢ ગામને આપ્યો છે.. ત્યારે તખતગઢ ગામના લોકોની આ પહેલને વીટીવી ન્યૂઝ આવકારે છે.