શ્રીલંકામાં ઈમરજન્સીની વચ્ચે પીએમ મહિંદા રાજપક્ષેના રાજનામા બાદ પણ તોફાનીઓ શાંત પડ્યાં નથી અને હવે તેમણે સત્તા પક્ષના સાંસદની જ હત્યા કરી નાખી.
શ્રીલંકામાં ઈમરજન્સીની વચ્ચે વકરી રાજકીય હિંસા
પીએમ મહિંદા રાજપક્ષેના રાજીનામા બાદ પણ તોફાનીઓ શાંત ન થયા
તોફાનીઓએ સત્તા પક્ષના એક સાંસદની કરી હત્યા
શ્રીલંકામાં હવે તોફાનીઓ આઉટ ઓફ કન્ટ્રોલ થયા છે. પીએમ મહિંદા રાજપક્ષેના રાજીનામા બાદ પણ તોફાનીઓએ શાંત પડવાનું નામ લેતા નથી. તોફાનીઓએ હવે સત્તા પક્ષના સાંસદની જ હત્યા કરી નાખતા પરિસ્થિતિ વધારે વણસી છે.
છુપાવવા જતા ગોળી લાગતા સાંસદનું થયું મોત
સત્તા પક્ષના સાંસદ Amarakeerthi Athukoralaએ Nittambuwaમાં પોતાની કાર રોકવાનો પ્રયાસ કરનાર બે લોકો પર ગોળીબાર કર્યો હતો તેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.જોકે ત્યાર બાદ સાંસદ નજીકની બિલ્ડિંગમાં છુપાવા માટે દોડ્યાં હતા તે દરમિયાન તેમને ગોળી વાગી હતી અને તેમનું મોત થયું હતું.
હિંસા બાદ કોલંબોમાં કર્ફ્યુ
રાજધાની કોલંબોમાં હિંસા બાદ શહેરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પણ પીએમના રાજીનામા અને સંયુક્ત સરકાર બનાવવાની માંગ સાથે સતત વિરોધ પ્રદર્શન કરી રહી હતી. આ પહેલા મહિન્દા રાજપક્ષેએ કહ્યું હતું કે તેઓ કોઇ પણ બલિદાન આપવા માટે તૈયાર છે. રાજપક્ષેના આ નિવેદન બાદથી જ તેમના રાજીનામાની અટકળો તેજ બની છે.
આખા દેશમાં કર્ફ્યુ
રાજધાની કોલંબો સહિત આખા શ્રીલંકામાં હાલમાં રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ લગાવી દેવાયો છે. શ્રીલંકામાં આર્થિક સંકટને લઈને વધી રહેલા વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ 6 મેના રોજ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. ગોતાબાયા રાજપક્ષેએ દેશમાં કથળેલી સ્થિતિ વચ્ચે કટોકટી લાદવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકામાં જ્યારે કટોકટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી હતી. ગંભીર આર્થિક સંકટથી ઘેરાયેલા શ્રીલંકામાં 4 એપ્રિલના રોજ પણ કટોકટી લાગુ કરવામાં આવી હતી.
આર્થિક સંકટ વચ્ચે રાજકીય અસ્થિરતા
શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે સરકાર રાજકીય મોરચે પણ સંઘર્ષ કરી રહી હતી. વિરોધ પક્ષોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. રાજકીય અસ્થિરતાના માહોલમાં રાષ્ટ્રપતિ પર આરોપ લગાવવામાં આવ્યો કે તેઓ પોતાની ફરજો યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. વિરોધ પક્ષો દેશને આર્થિક સંકટના વમળમાંથી બહાર કાઢવા માટે વચગાળાની સરકારની રચનાની માંગ કરી રહ્યા હતા.
શ્રીલંકાની અર્થવ્યવસ્થા પડી ભાંગી
શ્રીલંકાની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. ફુગાવો બેફામ વધ્યો છે. સૌથી ખરાબ સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે લોકોને એક ઈંડા માટે 30 રૂપિયા અને બટાકા માટે 380 રૂપિયા ખર્ચ કરવા પડે છે. સ્થિતિ એટલી વણસી કે પેટ્રોલ પંપ પર સેનાને તૈનાત કરવી પડી. ખાવા-પીવાની સાથે સાથે દેશમાં પેપરની પણ અછત છે, જેના કારણે પરીક્ષાઓનું આયોજન પણ સરકાર માટે પડકારરૂપ સાબિત થઇ રહ્યું છે.