જેતપુરમાં વીજકરંટ લાગતા બે ખેડૂતના મોત, પિયત માટે મોટર મુકતી વખતે બની દુર્ઘટના
વીજકરંટ લાગતા બે ખેડૂતના મૃત્યુ
જેતપુરના વાળાડુંગરા ગામમાં દુર્ઘટના
પિયત માટે મોટર મુકતી વખતે કરંટ લાગ્યો
રાજ્યમાં હાલ વરસાદી માહોલ વચ્ચે વિજળીના કડાકા ભડાકા સાથે અનેક જગ્યાએ મેઘ મહેર થઈ રહી છે. આ સાથે વીજળી પડવાના અને વીજ કરંટ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે. આજે જેતપુરમાં વીજકરંટ લાગતા બે ખેડૂતના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ પિયત માટે મોટર મુકતી વખતે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
પિયત માટે મોટર મુકતી વખતે કરંટ લાગ્યો
રાજકોટના જેતપુરમાં આજે વિજકરંટ લાગતા બે ખેડૂતના મોત થતાં પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જેતપુરના વાળાડુંગરા ગામે પિયત માટે મોટર મુકતી વખતે આ ઘટના બની હતી. જેમાં રિકીન મકવાણા અને વિપુલ સરવૈયા નામના ખેડૂતનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ દોડી આવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપ્યા હતા.
સુરેન્દ્રનગરમાં વીજળી પડતા 3 લોકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડીના કટારીયા ગામમાં પણ આજે ખેતરમાં કામ કરી રહેલા પરિવાર પર વીજળી પડતાં ત્રણ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. વિગતો મુજબ હરીસંગભાઈ બાધણીયા ઉંમર વર્ષ 45, અક્ષયભાઈ હરેશભાઈ બાંધણીયા ઉંમર વર્ષ 30 અને હેતલબેન કલ્પેશભાઈ મેણીયા 26 વર્ષ તમામ ખેતરમાં કામ કરી રહ્યા હતા. જે દરમ્યાન કડાકા સાથે વીજળી પડી હતી. જેમાં એક જ પરિવારના 3 સભ્યો ઘટનાસ્થળે ભડથું થઈ ગયા હતા. બનાવની જાણ ગામલોકોને થતાં મોટી સંખ્યામાં ખેતરે દોડી આવ્યા હતા. પણ ત્રણેય મૃતકોના શરીર વીજળી પડવાથી બળી ગયા હતા.