વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મૃતકના પરિવારજનો મૃતદેહ લઈને પહોંચતા રાહદારીઓમાં કુતુહલ સર્જાયું હતું. પરંતુ પરિવારજનો કહી રહ્યા હતા કે કાયદાને માન આપીએ છીએ પણ જેલ સત્તાધીશોએ મોતનો મલાજો ન જાળવ્યો.
રવજીભાઈની પત્ની અને દીકરો જેલમાં સજા કાપી રહ્યા છે
ધાર્મિક વિધિ માટે જામીનની પરવાનગી માંગી
જેલ સત્તાધીશોએ માંગણી ન સ્વીકારાતાં ગ્રામજનોમાં રોષ
વડોદરાના ડભોઇ તાલુકા પાસેના વઢવાણ ગામમાં રહેતા 45 વર્ષીય રાવજી ભાઈ રાઠોડનું બીમારીના કારણે મોત નીપજ્યું હતું. મૃતકના પત્ની લીલાબેન અને પુત્ર સુખદેવ બળાત્કારના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે.
ધાર્મિક વિધિઓ માટે જેલ સત્તાધીશોએ ન આપ્યા જામીન
તેથી પરિવારજનોએ જેલ સત્તાધીશોને માંગણી કરી હતી કે રાવજીભાઈની પત્નીને જામીન આપવામાં આવે કે જેથી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી શકે. પરંતુ જેલ સત્તાધીશોએ પરવાનગી ન આપતા ગ્રામજનો મૃતકની મૃતદેહને ટેમ્પામાં લઈને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આવી પહોંચ્યા હતા.
પત્નીને તેના મૃતક પતિનું મુખ અંતિમ વખત જોવા દેવામાં આવેઃ પરિવારજનો
બાદમાં વિનંતી કરી હતી કે રવજીભાઈની પત્નીને ફક્ત મૃતકનું મુખ અંતિમ વખત જોવા દેવામાં આવે. પરંતુ જેલ સત્તાધીશોએ માંગણી ન સ્વીકારતા અંતે વ્યથિત થઈ ગ્રામજનો મૃતદેહ લઈ રવાના થવા મજબૂર બન્યા હતા.