ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં પ્રવાસી મજૂરો ભરેલો ટ્રક બેકાબૂ થઇને પલટી ગયો. ટ્રકમાં સવાર ત્રણ મહિલાઓના મોત નિપજ્યાં, જ્યારે અન્ય 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઇ છે. રાહત અને બચાવ કામગીરી હાથધરી છે. દુર્ઘટના પનવાડી વિસ્તારના ઝાંસી-મિર્ઝાપુર હાઇવે પર બની છે.
ઝાંસી-મિર્ઝાપુર હાઈવેના મહોબા રસ્તા પર બની દુર્ઘટના
ઘટના સ્થળે પોલીસ ટીમ દોડી આવી
રાહત અને બચાવ કામગીરી હાથધરી
રાજ્ય સરકારના આદેશ છતા પ્રવાસી શ્રમિકો ભાડાના વાહનોથી જઇ રહ્યા છે અને આ પ્રકારના વાહનો અટકી નથી રહ્યા. ઔરૈયામાં થયેલી દુર્ઘટનાના ત્રીજા દિવસે સોમવારે મોડી રાત્રે મહોબામાં મોટી દુર્ધટના બની છે. ઝાંસીથી આવી રહેલા પ્રવાસી મજૂરોથી ભરેલ ટ્રક પલટતા ત્રણ મહિલા પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગંભીર ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
સોમવાર સવારે બસ પલટતા અનેક મજૂરો થયા હતા ઇજાગ્રસ્ત
આજ સવારે ઉત્તરપ્રદેશના હમીરપુરમાં એક બસ અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. કૌશાંબી ડેપની બસ બેકાબૂ થઇને પલટી હતી. આ દુર્ઘટનામાં અનેક મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. આ બસ મજૂરોને લઇને નોઇડાથી મહોબા જઇ રહી હતી. તમામ ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શનિવારે ટ્રક અકસ્માતમાં 25 મજૂરોના થયા હતા મોત
આ પહેલા શનિવારે ઔરેયા જિલ્લામાં દુર્ઘટના બની હતી. રાજસ્થાનથી આવી રહેલા એક ટ્રકની ડીસીએમ સાથે ટક્કર થઇ હતી. આ દુર્ઘટનામાં અંદાજિત 25 પ્રવાસી મજૂરોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ત્યારે, રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના બાદ અધિકારીઓને કહ્યું હતું કે, એ ધ્યાન રાખવામાં આવે કે લોકો પગપાળા, બાઇક, થ્રી વ્હિલર અને ટ્રક જેવા વાહનોમાં યાત્રા ન કરે. બોર્ડર વિસ્તારની સાથો સાથ ટોલ પ્લાઝા એક્સપ્રેસ વે અને મુખ્ય ચોક પર પ્રવાસી મજૂરો માટે ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે. પરિવહન નિગમ દ્વારા સંચાલિત તમામ બસોને નિયમિત રીતે સેનિટાઇઝ કરવામાં આવે. ત્યારે હવે સોમવારે ફરી એક મોટી દુર્ઘટના બની છે.