આજનો દિવસ એટલે કે 5 સપ્ટેમ્બરને સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કેળવણીકાર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમના જન્મ દિન એટલે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે. આજના શિક્ષક દિને બાકરોલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા અને તેના શિક્ષકોની શું છે વિશેષતા?
આજે શિક્ષક દિન છે ત્યારે હાલની સ્થિતિએ સરકારી શાળાઓ અને તેના શિક્ષકોની સ્થિતિ કથળી રહી છે. તેને જ લીધે લોકો પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં દેવું કરી પણ અભ્યાસ કરાવી રહ્યા છે. આવું થવાનું મૂળ કારણ હજારો રૂપિયાની પગાર લેતા શિક્ષકોની ઈચ્છા શક્તિનો અભાવ જ ગણી શકાય. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે આજના શિક્ષક દિને આપણે એક એવી શાળા અને શિક્ષક વિષે વાત કરવાના છીએ. જ્યાંના શિક્ષકો અને શિક્ષણનું સ્તર ઉચ્ચ કોટીનું તો છે જ પરંતુ આ શાળાના શિક્ષકોની મહેનતે આખી શાળાની કાયાપલટ કરી ખાનગી શાળાને પણ જાંખી પાડે તેવી બનાવી છે. પંચમહાલના કાલોલ તાલુકાના બાકરોલ ગામે આવેલી બાકરોલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના શિક્ષકોના નવતર અભિગમે શિક્ષણને અલગ દિશા આપી છે.
આખી શાળી સીસીટીવ કેમેરાથી સજ્જ, આધુનિક કોમ્પ્યુટર લેબ અને પ્રોજેક્ટર
બાકરોલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાની વિશેષતાઓની વાત કરીએ તો આ શાળામાં ૪૬૫ બાળકો અભ્યાસ કરે છે અને તેમના શિક્ષણકાર્ય માટે ૧૪ શિક્ષકોનો સ્ટાફ છે. આ આખી શાળા સીસીટીવી કેમેરાથી સજ્જ છે. શાળા અદ્યતન કોમ્પ્યુટર લેબ અને પ્રોજેક્ટર પણ છે. શાળાના પ્રવેશદ્વારથી શરૂ કરીને સંકુલની દરેક દિવાલ બાળકો અને શિક્ષકોએ સાથે મળી કરેલા સર્જનથી જીવંત બની છે. બાળકોએ પ્લાસ્ટિકની બોટલો, ટાયરો વગેરેનો ઉપયોગ કરી જે સુંદર બગીચાનું નિર્માણ કર્યુ છે તે કોઈપણ આર્કિટેક્ચરની કલ્પનાને ટક્કર મારે તેવું છે.
શાળાના દરેક વર્ગખંડમાં ભાર વિનાનું ભણતર બનાવતી શૈક્ષણિક સામગ્રીઓ
મુખ્યશિક્ષકના રૂમથી લઈને શાળાના દરેક વર્ગખંડમાં ભણતરને ભાર વિનાનું બનાવતી શૈક્ષણિક સામગ્રી ઠેર ઠેર જોવા મળે છે. તેની વિશેષતા એ છે કે આ દરેક સામગ્રી વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જાતે જ બનાવી છે. બાળકો પિરીયડ સિવાયના સમય દરમિયાન સંકુલમાં હરતા-ફરતા હોય ત્યારે પણ રમતા-રમતા ગણિત, વિજ્ઞાન, વ્યાકરણ, ભૂગોળ અને સામાન્ય જ્ઞાનની વિવિધ બાબતો શીખી શકે તે માટે તેને ગમ્મત પડે તેવા સ્વરૂપમાં પ્રદર્શિત કરવામાં આવી છે, જે બાળકો તો ઠીક મોટેરાઓનું પણ ધ્યાન આકર્ષે છે.
શાળાની વિવિધ પ્રવૃતિઓના વીડિયો યુટ્યુબ-ફેસબુક પર કરાય છે અપલોડ
બાળકો માટે જ્ઞાનોપાર્જન કરવામાં સ્કૂલનો સમય મર્યાદા બાંધ ન બને તે માટે એક સુંદર ઓપન લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે, જે શાળાના સમયથી ૧ કલાક અગાઉ ખૂલે છે. બાળકો શાળામાં જે પણ સાંસ્કૃતિક-રચનાત્મક પ્રવૃતિઓ કરે તેને શાળાના યુટ્યુબ એકાઉન્ટ અને ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવે છે, જેથી વાલીઓ અને અન્યો પણ તેને નિહાળી શકે. આ માટે શાળાના વાર્ષિક અહેવાલમાં દરેક પ્રવૃતિની સાથે તેનો ક્યુઆર કોડ પણ આપવામાં આવે છે. “ખુલ્લી શાળા” પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર સંકુલને શાળા ના શિક્ષકોએ જ્ઞાનનું માધ્યમ બનાવ્યું છે.
ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં લઇ રહ્યા છે પ્રવેશ
બાકરોલ કેન્દ્રવર્તી શાળામાં પહેલા જૂજ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હતા. પરંતુ જ્યારથી આ શાળાની કાયાપલટ થઇ છે અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી ઉચ્ચકોટીનું અને ભાર વગરનું ભણતર આ શાળામાં મળતું થયું છે ત્યારથી અહીં ખાનગી શાળામાંથી પણ વિધાર્થીઓ પ્રવેશ માટે આવવા લાગ્યા છે. ચાલુ વર્ષે જ કાલોલ તાલુકાની નામાંકિત અલગ અલગ ખાનગી શાળાઓમાંથી 12 જેટલા વિધાર્થીઓએ બાકરોલ શાળામાં પ્રવેશ લીધો છે. ત્યારે આ બાળકોના વાલીઓ પણ શાળા અને શિક્ષકોના વખાણ કરતા થાકતા નથી.
વાલીઓ અવારનવાર લે છે શાળાની મુલાકાત
આ શાળાના શિક્ષકોની સાથે સાથે એસએમસીના પણ શાળા પ્રત્યે એટલા સમર્પિત છે કે વિદ્યાર્થીઓ માટે લાભદાયક એવી કોઈ પણ પ્રવૃતિ જો નાણાના કારણે અટકે એમ હોય તો તેઓ પોતાના પૈસા ઉમેરીને પણ તેને શક્ય બનાવે છે. બાકરોલના ગ્રામજનો પણ શાળાકીય પ્રવૃત્તિઓમાં રસભેર ભાગ લે છે અને વાલીઓ પણ અવારનવાર આ શાળાની મુલાકત લે છે.
એક જ ધ્યેય છે કે શાળાના બાળકો સામાજિક જીવનના સારા પાઠ શીખેઃ શિક્ષક
બાકરોલની આ કેન્દ્રવર્તી શાળાની કાયાપલટ અને સિદ્ધિમાં જેમનું વિશેષ યોગદાન છે. તે મુખ્ય શિક્ષક એવા સતીશભાઈ પ્રજાપતિ ૨૦ વર્ષથી શિક્ષણક્ષેત્રે જોડાયેલા છે. તેમના મત મુજબ આ તમામ પ્રવૃતિઓ પાછળ એક જ ધ્યેય છે કે શાળામાં આવનારા બાળકો માટે શિક્ષણ બોજારૂપ ન રહે અને સતત નવું શીખવાની એક આનંદમય પ્રવૃતિ બની રહે. બાળકો એકતાનું મહત્વ સમજી સમૂહમાં કામ કરતા શીખે, સામાજિક જીવનના સારા પાઠ શીખે, એક સારા નાગરિક તરીકે વિકસી એક સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિકસિત દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપે.
રાજ્યપાલના હસ્તે શિક્ષક એવોર્ડ અને મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ મળેલ
જો કે બાકરોલ શાળાનું શૂન્યમાંથી સર્જન કરનાર સતિષભાઈ નિતનવીન પ્રવૃતિઓ બાળકો અને સ્ટાફના શિક્ષકો પાસે કરાવતા જ રહે છે અને ભવિષ્યમાં પણ કઇક વધુ આ શાળા માટે કરવાની ખેવના ધરાવે છે. શિક્ષણક્ષેત્રે અનુકરણીય પ્રદાન બદલ મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી આ શાળા ના મુખ્યશિક્ષક સતિષભાઈ પ્રજાપતિનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સતિષભાઈએ પોતાને મોરારીબાપુના હસ્તે મળેલ ચિત્રકૂટ એવોર્ડના રૂા.૨૫,૦૦૦ અને રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અંતર્ગત મળેલ રૂા.૧૦,૦૦૦ની રકમનો ઉપયોગ શાળાને સીસીટીવીથી સુસજ્જ કરવામાં કર્યો છે જેનાથી નાના બાળકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય.
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં મળેલ પ્રોજેક્ટરના ફાયદા જણાતા શાળાના શિક્ષકોએ સ્વખર્ચે બીજુ પ્રોજેક્ટર પણ વસાવ્યું જેથી ઈન્ટરેક્ટિવ શૈક્ષણિક સામગ્રીની મદદથી બાળકોને અઘરા વિષયો શીખવવામાં સરળતા રહે છે.