જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ગૃહમંત્રી બે દિવસમાં 13 કાર્યક્રમોમાં હાજરી આપશે
અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતમાં 13 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહના 26 સપ્ટેમ્બરના કાર્યક્રમની વાત કરીએ તો તેઓ સવારે 8.40 વાગ્યે ઔડા દ્વારા નિર્મિત સાયન્સ સીટી પાસે ભાડજ ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. જે બાદ વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ઔડા દ્વારા નિર્મિત સમાજ વાડીનું લોકાર્પણ કરશે. સાથે જ વિરોચનનગર ખાતે આવેલા પૌરાણિક મંદિર મેલડી માતાજીના દર્શને જશે.
સાઉથ વેસ્ટ ઝોન કચેરીનું લોકાર્પણ કરશે
જે બાદ ગૃહમંત્રી અમિત શાહ ESIC સંચાલિત હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ અમદાવાદ જિલ્લાના નળકાઠાના ગામોના ખેડૂતોનું સંમેલન છે. જેમાં તેઓ હાજરી આપશે. અમિત શાહ AMC દ્વારા નવનિર્મિત સાઉથ વેસ્ટ ઝોન કચેરીનું લોકાર્પણ કરશે. અહીં તેઓ EWS આવાસો અને શકરી તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કરશે.
વરદાયિની માતાજીના દર્શને જશે શાહ
અમિત શાહના 27 ઓગસ્ટના કાર્યક્રમ વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બર સવારે KRIC કોલેજ દ્વારા નિર્માણધીન થનાર 750 બેડની આધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રૂપાલ વરદાયિની માતાજીના દર્શને જશે, તેઓના હસ્તે વરદાયિની માતાજી મંદિરે સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મુકાશે.
બીજા નોરતે બહુચાજી માતાના દર્શને જશે અમિત શાહ
બપોરે 12.25 કલાકે ગાંધીનગર મહાનગર દ્વારા નવનિર્મિત અંડરપાસનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. 27 સપ્ટેમ્બરે બપોરે 3.30 કલાકે તેઓ GTUના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરશે. જે બાદ મહાકાળી માતાના દર્શન કરવા અંબોડ જવા રવાના થશે. અહીં પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે માતાના ચરણોમાં શિશ ઝૂંકાવી દર્શન કર્યા બાદ તેઓ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા નવનિર્માણ પામનાર સમૌ શહીદ સ્મારક તેમજ લાઈબ્રેરીનું ભૂમિ પૂજન કરશે. અહીંથી તેઓ માણસા બહુચર માતાજીના મંદિરે જવા રવાના થશે. બીજા નોરતે માણસા ખાતે સાંજે 7.30 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બહુચરાજી માતાજીના દર્શન અને આરતી કરશે.
મોદી-શાહના કાર્યક્રમને લઈ તાબડતોબ કામગીરી શરૂ
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 29મી અને 30મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ મુલાકાત વેળાએ તેઑ સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજી ખાતે હાજરી આપશે અને 30મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી પ્રારંભ કરાવશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાતને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે.