કરોડો ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ તીર્થધામ ખાતે યાત્રાળુઓની ઊઘાડી લૂંટ થઈ રહી છે. અહીં રોપવેના કેટલાક એજન્ટો દ્વારા યાત્રાળુઓની શ્રદ્ધાનો અને સમયનો ખુલેઆમ વેપલો થઈ રહ્યો છે. ઊડન ખટોલા સુવિધાના નિયત દર કરતાં ચબરાકીથી ડબલ નાણાં વસૂલાઈ રહ્યા છે. ત્યારે આસ્થાના કેદ્રમાં ભક્તો સાથે કઈ રીતે થઈ રહ્યો છે અનાચાર જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં.
લાખો-કરોડો લોકોની જેના પર અપરંપાર શ્રદ્ધા છે અને જ્યાં મહાકાળી માતા ગબ્બર ગોખે બિરાજી રહ્યા છે તેવા પાવાગઢ તીર્થધામમાં યાત્રાળુઓ પાસેથી ઊઘાડી લૂંટ ચાલી રહી છે. અહીં શ્રદ્ધાળુઓ અનેક બદીઓથી બચવા માતાજી સામે માથું ટેકવે છે.પરંતુ તેઓ તો અહીં જ ઊઘાડી લૂંટનો ભોગ બની રહ્યા છે.
અહીંના સત્તાવાર બોર્ડ પર ઉડનખટોલા સેવાના પ્રતિ વ્યક્તિ દર 116 રૂપિયા દર્શાવાઈ રહ્યા છે. જો કે આ દરે સુવિધા માણવા માટે તમારે થોડા કલાકો લાઈનમાં ઊભા રહેવાની ધીરજ રાખવી પડે. આ જ સેવાના 250 રૂપિયા દર દર્શાવવામાં આવ્યો છે. જો કે તે ઝટ નજરે ન ચડે તે રીતે બોલપેનથી લખવામાં આવ્યો છે અને જે વ્યક્તિ ઉડનખટોલા માટે આટલો દર ચૂકવી શકે તેમને તુરંત સેવા આપવામાં આવે છે. ઉડન ખટોલા સેવા આપતી કંપનીના કેટલાક કર્મીઓ આ રીતે ભક્તોના સમયનો અને આસ્થાનો કાળોબજાર કરી રહ્યા છે. જે ટિકિટના ભાવ 116 રૂપિયા છે તેને ઉડનખટોલા કંપનીના કેટલાક દલાલો અઢીસો રૂપિયા વસૂલી રહ્યા છે.
કાળી કલ્યાણીના ધામમાં યાત્રાળુઓના નાણાનું અને સમયનું કઈ રીતે સત્યાનાશ થઈ રહ્યું છે તેનો આ પુરાવો છે. ઉડન ખટોલા કંપનીના દલાલો 250 રૂપિયામાં પૈસાવાળા લોકોની તરફેણ કરીને લાઈન ક્રોસ કરાવી દે છે. સામાન્ય ભક્તો જે ખિસ્સામાં મર્યાદિત રકમ લઈને મહાકાળી માતાના દર્શને જાય છે તેમને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.
લાંબી થતી આ કતારોમાં બાળકો અને મહિલાઓ પીડા ભોગવે છે જ્યારે પૈસા લઈને દર્શને આવતા લોકો સીધા જ સુવિધા મેળવી લે છે. માતાના દર્શને આવતા મધ્યમવર્ગીય ભક્તો આવી સ્થિતિ જોઈને લઘુતાગ્રંથી અનુભવે છે. ઉડન ખટોલા કંપનીના ભાડે રાખેલા દલાલો કે કર્મચારીઓ આવા 250 રૂપિયા આપી શકે તેવા ભક્તોને શોધે છે અને નિયત કરેલા 116 રૂપિયા આપનારા યાત્રાળુઓ કલાકો સુધી લાઈનોમાં ઊભા રહીને પીડાય છે.
આસ્થાના ધામમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરનારા આવા તત્વોની હરકત એક સામાન્ય કેમેરામાં કેદ થાય છે ત્યાં સુધી તંત્ર ક્યાં ઊંઘતું હોય છે આ સવાલ તો ઊભો થાય જ છે સાથે શ્રદ્ધાના વેપલાનો અને યાત્રાળુના સમય સાથે થતા ખિલવાડનો સવાલ છે ત્યાં સુધી સવાલોની વણજાર ઊભી થયા વિના રહેશે નહીં. સવાલ એ ઊભા થાય છે કે, લોકો લૂંટાઈ રહ્યાં છે ત્યારે આ કંપનીને રોકનારું કેમ કોઈ નથી?
ભક્તોમાં ભેદભાવ કરતી આ કંપની કોણ છે? કલાકો લાઈનમાં ઉભા રહેતા લોકોની પીડા કોણ સમજશે? વેકેશનનો લાભ લઈને લૂંટતી કંપનીઓને કોણ રોકશે? શું ટ્રસ્ટનો આ ખાનગી કંપની પર કોઈ કાબૂ નથી? લાઈનમાં ઉભા રહેતા ભક્તોની શ્રદ્ધા શું ઓછી છે? શું પૈસાથી આપણે ભક્તોની શ્રદ્ધાને માપીશું? સત્તાધીશોના નજરે આવી લૂંટ કેમ નથી ચડતી? આવા અણિયાળા સવાલ તમને ચૂભતા હશે પરંતુ અમે શું કરીએ. આ તો શ્રદ્ધાનો સવાલ છે.