બનાસકાંઠામાં તીડનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુ સતત બીજા દિવસે તીડગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. જેમાં કૃષિ મંત્રી તીડ કંટ્રોલની કામગીરીનું નિરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે હાલ કેન્દ્ર તેમજ રાજ્યની ટીમ બનાસકાંઠા સહિત તીડગ્રસ્ત વિસ્તારમાં કામગીરી કરી રહી છે.
આર.સી.ફળદુ સતત બીજા દિવસે તીડગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
બનાસકાંઠામાં તીડના કારણે 6 હજાર હેક્ટરની ખેતીને અસર
તીડના નાશ માટે કેન્દ્ર અને રાજ્યની 50 ટીમ કાર્યરત
બનાસકાંઠાના તાલુકાઓમાં હજુ પણ તીડનો આક્રમણ યથાવત્ છે. તીડથી અત્યાર સુધી 6 હજાર હેક્ટરની ખેતીને અસર થઈ છે. થરાદ, વાવા, ડીસાની 6 હજાર હેક્ટર ખેતીને નુકસાન થયો છે. તીડના નાશ માટે કેન્દ્ર અને રાજ્યની 50 ટીમ કાર્યરત છે.
100 જેટલા ખેડૂતો દ્વારા દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. થરાદના મીયાલ, વાધાસણ, દેટલિયા, ખારાખોડા ગામમાં પણ તીડના ઝૂંડ ઉતર્યા છે. 15 કિલોમીટરના વિસ્તારમાં કરોડોની સંખ્યામાં તીડ જોવા મળી રહ્યા છે. તીડના કારણે ખેતીમાં ભારે નુકસાની થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે કૃષિમંત્રી આર.સી. ફળદુ થરાદના નારોલી ગામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે આ મુલાકાતમાં પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી પણ ગયા હતા. તીડ પ્રભાવિત વિસ્તારની મુલાકાતે આ બંને નેતાઓ પહોંચ્યા હતા. કૃષિમંત્રી સાથે અધિકારીઓ પણ તેમની સાથે મનોમંથન કરવા પહોંચ્યા હતા અને તીડને કેવી રીતે રોકવા તે મામલે મંથન કરવામાં આવ્યુ હતું.