કોરોનાના કારણે વિશ્વભરમાં ભયનો માહોલ ફેલાયેલો છે. અને અત્યાર સુધી 3100થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 92000થી વધારે કેસ નોંધાયા છે. ત્યારે આ સમગ્ર વાતો વચ્ચે એક નવી ઘટના સામે આવી છે.
કોરોના વાયરસ ચિંતાનું કારણ
આરોગ્ય મંત્રાલય સામે મોટી સમસ્યા
ઈરાનના પ્રવાસી બન્યા ચિંતાનું કારણ
દેશમાં કોરોના વાઈરસના ઝડપથી વધી રહેલા ચેપ વચ્ચે આરોગ્ય મંત્રાલયની સામે બીજી એક મોટી સમસ્યા આવીને ઊભી છે. ઈરાનથી ભારત આવેલા ૪૯૫ પ્રવાસીની કોઈ ભાળ મળતી નથી. આ મુસાફરોએ તેમના વિઝામાં જે સરનામું આપ્યું હતું, તેઓ ત્યાં ઉપલબ્ધ નહોતા. આરોગ્ય મંત્રાલયે હવે આ તમામ મુસાફરોને શોધી કાઢવા માટે તેમની વિગતો પર્યટન મંત્રાલયને આપી છે.
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના એક ઉચ્ચસ્તરીય સૂત્રએ જણાવ્યું કે, ઈરાનના આ મોટાભાગના મુસાફરોએ વિઝા અરજી સમયે તેમની હોટલના સરનામાં આપ્યાં હતાં. આ મુસાફરોને શોધતી વખતે આરોગ્ય કર્મચારીઓની ટીમ વિઝામાં જણાવેલી હોટલો પર પહોંચી ત્યારે તેમને ખબર પડી હતી કે, આ મુસાફરો હોટલમાં ક્યારેય આવ્યા જ નહોતા. વિઝા મળ્યા બાદ તેમણે હોટલનું બુકિંગ રદ કરી દીધું હતું. આ મુસાફરો જ્યારે ભારત આવ્યા ત્યારે એરપોર્ટ પર ઈરાનથી આવેલા મુસાફરોનું સ્ક્રીનિંગ પણ શરૂ થયું નહોતું. આ મુસાફરોને શોધી કાઢવામાં નિષ્ફળ ગયા બાદ આરોગ્ય મંત્રાલયે આખરે આ પ્રવાસીઓની યાાદી અને વિગતો પર્યટન મંત્રાલયને સુપરત કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનથી આવેલા મોટાભાગના મુસાફરો પર્યટન અને બિઝનેસ વિઝા પર ભારત આવ્યા હતા. હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ મુસાફરો દેશના કયા ક્યા ભાગમાં ગયા છે. ઉલ્લેખનીય છે કે, ચીનની બહાર કોરોના વાઈરસને કારણે સૌથી વધુ મોત ઈરાનમાં થયા છે. ઈરાનની સરકારના ઘણા ટોચના નેતાઓ અને શિયા ધાર્મિક નેતાઓ પણ આ વાઈરસના ચેપથી બીમાર પડ્યા છે.