ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ ઘૂંટણીએ આવી ગયુ અને ભારતે જીત હાંસલ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાની આ જીત ખૂબ ખાસ છે જે ઈંગ્લેન્ડને લાંબા સમય સુધી યાદ રહેશે. આ મેચની જીત માટે ભારત માટે ત્રણ મોટા ટર્નિંગ પોઈન્ટ રહ્યાં છે.
ભારતે પહેલી ટેસ્ટનો બદલો બીજી ટેસ્ટ મેચ જીતીનો લીધે
પહેલા દિવસથી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પર હાવી હતી
ઈંગ્લેન્ડને 482 રનનો જંગી સ્કોર ચેઝ કરવાનો હતો
24મી ફેબ્રુાઆરીએ રમાશે ત્રીજી મેચ
ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં રમાયેલ બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 317 રનની હરાવીને પહેલી ટેસ્ટ મેચનો બદલો લઈ લીધો છે. બીજી ટેસ્ટ મેચમાં જીત બાદ વિરાટનાં ધુરંધરોએ ચાર ટેસ્ટની સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. સિરીઝની આગામી મેચ 24 ફેબ્રુઆરીએ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં રમાશે. આગામી મેચ ડે-નાઇટ રહેશે જે પિન્ક બોલથી રમાશે.
ઈંગ્લેન્ડની ટીમ 164 રનમાં હાંફી ગઈ
ભારતે પહેલી ઈનિંગમાં 329 રન બનાવ્યા જેનાં જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 134 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતે બીજી ઈનિંગમાં 286 રન બનાવીને ઈંગ્લેન્ડને જીત માટે 482 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ જંગી સ્કોરનો પીછો કરતા કરતા ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 164 રનમાં હાંફી ગઈ અને ટીમ ઈન્ડિયાએ 317નાં મોટા રન માર્જિનથી આ મેચમાં જીત હાંસલ કરી લીધી. પણ ટીમ ઈન્ડિયાની જીતમાં અમુક ટર્નિંગ પોઈન્ટ જોવા મળ્યા હતા જેણે ભારતની જીતને મજબૂત શક્ય બનાવી.
રોહિત શર્માની તાબડતોડ બેટીંગ
બીજી મેચમાં રોહિત શર્માનાં બેટમાંથી ધડાકાભેર રન નીકળ્યા અને રોહિતે વન-ડે સ્ટાઇલમાં સ્કોર કરતા 161 રનની ધુંઆધાર ઈનિંગ રમી. રોહિત શર્માએ તેની બેટીંગમાં 18 ચોક્કા અને 2 છક્કા લગાવીને દર્શકોનું પણ ભરપૂર મનોરંજન કર્યુ હતું. રોહિત શર્માની બેટીંગ દરમિયાન તેની સામે ભારતીય ટીમની વિકેટ પડી રહી હતી પણ રોહિતે તેની વિકેટ બચાવીને એક મજબૂત સ્કોર ખડકવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
અશ્વિનની પંજા પર સદી ભારે પડી ઈંગ્લેન્ડને
રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં તેને પાંચ ઝટકા આપ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં 8 નંબર પર બેટીંગ કરતા અશ્વિને સદી પણ ફટકારી હતી. બંને ઈનિંગમાં બોલિંગ અને બેટીંગ કરતા અશ્વિને સાબીત કરી બતાવ્યું કે તે કેટલો મોટો મેચ વિનર છે. 8 નબંર પર આવીને સદી ફટકારનાં પ્લેયરમાં પણ અશ્વિન મોખરાનો બેટ્સમેન બની ગયો છે. અશ્વિને તેના કરિયરની પાંચમી સદી ફટકારી હતી અને એક મેચમાં પાંચ વિકેટ સાથે સદી ફટકારવાનો કારનામો તેણે ત્રીજી વાર કર્યો હતો.
અક્ષર પટેલની ટેસ્ટ ડેબ્યૂ બની ખાસ
અક્ષર પટેલે આ મેચથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું. તેને પહેલી ટેસ્ટમાં તક મળવાની હતી પણ તે ઈજાગ્રસ્ત હોવાને લીધે પહેલી ટેસ્ટ ના રમી શક્યો. આ મેચમાં તેને ડેબ્યૂ કરવાની તક મળી અને તેણે પોતાની બોલિંગથી કોઈને નિરાશ ના કર્યા. અક્ષરે પહેલી ઈનિંગમાં જે રુટની મહત્ત્વની વિકેટ લીધી અને બીજી ઈનિંગમાં કુલ પાંચ વિકેટ લીધી. અક્ષર પટેલે તેની પહેલી ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધી પ્રાપ્ત કરી હતી.
રિષભ પંતની વિકેટકીપિંગમાં પણ સુધાર જોવા મળ્યો
રિષભ પંતે પહેલી ઈનિંગમાં 58 રનોની નોટઆઉટ ઈનિંગ રમી હતી. જેનાં ઉપરાંત તેણે વિકેટકીપિંગમાં પણ બે જબરજસ્ત કેચ સાથે એક સુપરફાસ્ટ સ્ટમ્પિંગ કરી હતી. પંતે બેટીંગ અને વિકેટકીપિંગ પર પણ કામ કર્યું છે. આગામી સમયમાં હવે તે ટીમ ઈન્ડિયા માટે પરફેક્ટ વિકેટકીપર બેટ્સમેન બનવાની તૈયારી કરી રહ્યો છે.