બનાસકાંઠામાં 125 ગામોનું જળઆંદોલન યથાવત, હવે દિવા પ્રગટાવીને કરી અનોખી રજૂઆત, આગામી દિવસોમાં મહિલાઓ પર ઉતરશે રસ્તા પર
બનાસકાંઠાના ખેડૂતોની અનોખી રજૂઆત
મુક્તેશ્વર ડેમ- કરમાવદ તળાવ ભરવાની માંગ તેજ
દીવા પ્રગટાવીને અનોખી રીતે કર્યો વિરોધ
બનાસકાંઠામાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. જેને લઇને જળ માટે આંદોલન થઇ રહયા છે.પાલનપુર તાલુકાના મલાણા તળાવ ભરવાની માંગને લઇને આંદોલન થયું અને ત્યારબાદ કરમાવદ તળાવ ભરવાની માંગને લઈને પણ આંદોલન થયું. 125 ગામો દ્વારા કરમાવદ તળાવ ભરવાની માંગ કરવામાં આવી તેમ છતાં કોઇ ઉકેલ ન આવતા ખેડૂતોએ અનોખી રીતે સરકારને પાણી છોડવા માટે રજૂઆત કરી હતી. મહત્વનું છે કે ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી ભરવાની માંગ કરી રહ્યાં છે પરંતુ સરકાર દ્વારા આજદિન સુધી પાણી ન અપાતા ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે.
દીવા પ્રગટાવીને નોંધાવ્યો વિરોધ
બનાસકાંઠામાં કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમ ભરવાની માંગ વધુ તેજ બની છે. 125 ગામના લોકોએ આ વખતે પોતાની માંગને લઇને અનોખી રજૂઆત કરી. 125 ગામો મા ગુરુ મહારાજ નું નામ લઈ દીવા પ્રગટાવ્યા. ધોતા, જસલેની, મેમદપુર, રૂપપૂરા સહિત 125 ગામોમાં દીપ પ્રગટાવીને રસ્તા પર ઉતરી આવ્યા. તો આ તરફ મુસ્લિમ ભાઇઓએ ભેગા થઇને નમાજ પઢીને જળાશયોમાં પાણી છોડવા માટે પ્રાર્થના કરી હતી.
50 હજાર મહિલાઓ પાણી માટે કરશે રેલી
છેલ્લા ઘણા સમયથી 125 ગામના લોકો પાણીની માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર ઊંચા કાન નથી કરતી. ત્યારે હવે મહિલાઓ પોતાની માગોને લઇને આગળ આવી છે. સરકાર નહીં જાગે તો 50 હજાર મહિલાઓ પાણી માટે રેલી કરશે. પાલનપુરમાં આગામી દિવસોમાં મહિલાઓની રેલીનું આયોજન થશે. આ ઉપરાંત 50 હજાર મહિલાઓ PMને પોસ્ટ કાર્ડ લખીને પાણીની માગ કરશે. જ્યાં સુધી કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નહીં ભરવામાં આવે ત્યાં સુધીં 125 ગામના ખેડૂતોની આંદોલન યથાવત રહેશે.
અગાઉ યોજી હતી ખેડૂતોની મહારેલી
મહત્વનું છે કે અઠવાડિયા અગાઉ 125 ગામના ખેડૂતો ટ્રેક્ટર ભરીને રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો.125 ગામના ખેડૂતો પાલનપુરમાં આદર્શ સ્કૂલ ખાતે એકઠા થયા હતા. ખેડૂતોની સભા બાદ તમામ ખેડૂતો રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન પત્ર આપીને કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમ ભરવા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
125 ગામના ખેડૂતોનું જળઆંદોલન શા માટે ?
વડગામના મોટાભાગના અને પાલનપુરના અનેક ગામડાઓમાં પાણીની વિકટ પરિસ્થિતિ
સિંચાઇ માટે પાણીની તંગી વર્ષોથી છે,પણ હવે પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય તેમ છે
125 ગામની તાત્કાલિક કરમાવદ તળાવમાં નર્મદાનું પાણી નાંખી તળાવને ભરવાની માંગ
તળાવમાં પાણી નાખવાથી આ પંથકમાં પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોની પાણીની સમસ્યાનો અંત આવે
ખેડૂત આગેવાનોએ કળશ પૂજન કરી જળ આંદોલનની શરૂઆત કરી હતી