કાશ્મીરી પંડિતોએ 1989-90ના નરસંહારની તપાસ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
1989-90માં નરસંહારની ઘટના
કાશ્મીરી પંડિતોએ ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો
કાશ્મીરી પંડિતોના નરસંહારની તપાસ કરવા માગ
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે દેશમાં કાશ્મીરી પંડિતો પર થયેલા હુમલાઓની ઘટનાને ફરી એકવાર જીવીત કરી છે. આ ફિલ્મને લઇને રાજકારણ પણ ગરમાયુ છે. મોટાભાગનો વર્ગ એવો છે જેણે આ ફિલ્મને વખાણી તો વિપક્ષે આ ફિલ્મને લઇને સરકાર આડેહાથ લેવાનો પણ પ્રયાસ કર્યો છે. ત્યારે આ ફિલ્મ બાદ કાશ્મીર પંડિતોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને નરસંહાર મામલે સુપ્રીમકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
1989-90 હત્યાકાંડ મુદ્દે તપાસની માંગ
1989-90ના નરસંહારની તપાસ માટે કાશ્મીરી પંડિતોએ ફરીથી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કાશ્મીરી પંડિતોના સંગઠન રૂટ્સ ઇન કાશ્મીરે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરીને મામલાની ફરીથી તપાસની માંગ કરી છે. મહત્વનું છે કે વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે હત્યાકાંડના 27 વર્ષ પછી પુરાવા એકત્ર કરવા મુશ્કેલ છે. ત્યારે આ વખતે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી નવી અરજીમાં કહેવામાં આવ્યું છે કે 33 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે 1984ના રમખાણોની તપાસ કરાવી છે તો આ કિસ્સામાં પણ એવું જ કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી પિટિશન
કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થયા બાદ ફરી એકવાર કાશ્મીરી પંડિતોનો મુદ્દો ચર્ચામાં છે. કાશ્મીરી પંડિતોના સંગઠન રૂટ્સ ઇન કાશ્મીર ફરી એકવાર 1989-90ના નરસંહારની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. રૂટ્સ ઇન કાશ્મીર સંસ્થાનું કહેવું છે કે જો 33 વર્ષની તપાસ બાદ 1984ના રમખાણોની તપાસ થઈ શકે તો કાશ્મીર પંડિતોના નરસંહારની પણ તપાસ થઈ શકે છે.
કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી
ફીલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે.