21 ઓક્ટોબરે યોજાનાર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસનું મોવડી મંડળ ટિકિટ આપવા માટે ગોથે ચડ્યું છે. કોંગ્રેસ સંગઠનના આંતરિક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચૌધરી સમાજના વર્ચસ્વ વાળી થરાદ બેઠક પર કોંગ્રેસના મોવડી મંડળે ચૌધરી સમાજનું પતું કાપવાનું નક્કી કરી લીધું. કોંગ્રેસ આ વખતે સ્થાનિક નેતાને ટિકિટ આપવાના મુડમાં છે.
થરાદ બેઠક પર કોંગ્રેસ કોથળામાંથી બિલાડું કાઢશે
કોંગ્રેસ સ્થાનિક ઉમેદવારને ઉતવારની તૈયારી
થરાદ બેઠકની પેટાચૂંટણી નક્કી થઈ એટલે પક્ષપલટું માવજી પટેલ (ચૌધરી) કોંગ્રેસમાંથી ફરી ટિકિટ લેવા થનગની રહ્યા હતા. માવજી પટેલે તો ગત સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ અપક્ષમાંથી લડ્યા અને હાર્યા હતા.
આ સાથે ચૂંટણી પુરી થતાં જ ફરી કોંગ્રેસના શરણે આવ્યા હતા. હવે ફરી ટિકિટની લાલશા રાખનાર માવજીભાઈ પર મોવડી મંડળને વિશ્વાસ ઉડી જતાં તેઓએ ચૌધરી સમાજ અને માવજીભાઈને ટિકિટ ન આપવાનું મન બનાવી દીધું છે.
કોંગ્રેસ પણ આ વખતે થરાદ બેઠક પર ભાજપની જેમ કોથળામાંથી બિલાડું કાઢવાના મુડમાં છે. મોવડી મંડળ થરાદના સ્થાનિક કોંગી આગેવાન અને સર્વસામન્ય નેતા આંબાભાઈ નાઈને ટિકિટ આપવાનું વિચારી રહ્યા છે. જો કે હાલમાં કોંગ્રેસ કાર્યકરો અને સામાન્ય જનતામાં કોંગ્રેસમાંથી માવજીભાઈ નહીં એવી ચર્ચા એ જોર પકડ્યું છે.