મોબાઈલ યુઝર્સના ફોન બિલ આ વર્ષે વધી શકે છે. એક રિપોર્ટ મુજબ, ટેલિકોમ કંપનીઓ મોબાઇલ ટેરિફમાં 25-30% વધારો કરી શકે છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે, કંપનીઓની એવરેજ રેવન્યૂ પર યુઝર (ARPU)માં બહુ વધારો થયો નથી. આ સાથે, અન્ય દેશોની તુલનામાં ભારતમાં ટેલિકોમ સેવાઓ પર સબ્સ્ક્રાઇબર્સનો કુલ ખર્ચ ઘણો ઓછો છે. વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલને એડજસ્ટ ગ્રોસ રેવેન્યૂ (AGR) બાકીની રકમ પર ચુકવણી કરવી પડશે. જેથી કંપનીઓએ તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે ટેરિફ વધારવા પડશે. નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે, વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ વધી ગઈ છે અને આ કંપની બિઝનેસમાંથી બહાર પણ થઈ શકે છે. જો આવું થયું તો ટેલિકોમ માર્કેટમાં ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો જ બચશે.
સામાન્ય લોકોને લાગશે મોટો ઝટકો
ટેરિફમાં થઈ શકે છે 25-30% વધારો
ગયા વર્ષના અંતમાં પ્રીપેડ ટેરિફમાં 14-33%નો વધારો કર્યો હતો
IIFL સિક્યોરિટીઝના ડિરેક્ટર સંજીવ ભસીને જણાવ્યું કે, જિયો માર્કેટમાં આવ્યું તે પહેલા ટેલિકોમ કંપનીઓની ARPU 180-200 રૂપિયા હતી. અત્યારે તે લેવલ કરતા ઘણું ઓછું છે. છેલ્લા ત્રણ વર્ષમાં, ટેલિકોમ સેવાઓ પર યુઝર્સનો ખર્ચ ઓછો થયો છે. જેથી હવે ટેલિકોમ કંપનીઓ આ વર્ષે ટેરિફમાં 30% સુધી વધારો કરી શકે છે.
ગયા વર્ષના અંતમાં પ્રીપેડ ટેરિફમાં 14-33%નો વધારો કર્યો હતો
ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિયોએ ગયા વર્ષના અંતમાં પ્રીપેડ ટેરિફમાં 14-33%નો વધારો કર્યો હતો. ત્રણ વર્ષમાં આ પહેલો વધારો હતો. આ સાથે, આ કંપનીઓનું ARPU આગામી કેટલાક ત્રિમાસિક ગાળામાં વર્તમાન 120 રૂપિયાથી વધીને 160 રૂપિયા થઈ શકે છે, પરંતુ જો વોડાફોન આઇડિયાને બાકી રકમ પર સરકાર તરફથી રાહત નહીં મળે તો તેના માટે મુશ્કેલીઓ વધી જશે અને ટૂંક સમયમાં જ ટેરિફ વધારવો પડશે.
દેશમાં કોમ્યુનિકેશન પર યુઝર્સ ઓછો ખર્ચ કરે છે
ટેરિફમાં તાજેતરના વધારા છતાં, સબ્સ્ક્રાઇબર્સ કોમ્યુનિકેશનની તેમની જરૂરિયાત પર પ્રતિ વ્યક્તિ આવકનો માત્ર 0.86 ટકા જ ખર્ચ કરી રહ્યાં છે. જે ચાર વર્ષ પહેલાંની સરખામણીએ ઘણું ઓછું છે. વિશ્લેષકોએ જણાવ્યું કે, દેશમાં સંદેશાવ્યવહાર પર યુઝર્સનો ખર્ચ અમેરિકા, બ્રિટેન, સિંગાપોર, ચીન, ફિલિપાઇન્સ, જાપાન અને ઓસ્ટ્રેલિયા કરતા ઘણા ઓછાં છે.
જિયો આવ્યા બાદ ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો
ત્રણ વર્ષ પહેલાં જિયો બજારમાં આવ્યું ત્યારથી મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. ભસીને કહ્યું કે, યુઝર્સ ડેટા પર વધારે ખર્ચ કરવામાં અચકાશે નહીં. નિષ્ણાતો માને છે કે, ટેરિફમાં આગળનો વધારો વોડાફોન આઈડિયાના માર્કેટમાં બરકરાર રહેવા પર નિર્ભર કરશે. વોડાફોન આઈડિયાએ કહ્યું છે કે, તે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા સહિત અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.