ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)માંથી કોરોના વાયરસની બે વેક્સીનને ઇમર્જન્સી યુઝની મંજૂરી મળી છે.
આ દરમિયાન રઝા એકેડમીની સઈદ નૂરીએ સરકારની યોજનાને સમર્થ આપ્યું છે. આ સિવાય તેમણે રસી ઉત્પાદકોને અભિનંદન પણ આપ્યા છે. થોડા સમય પહેલા ઘણી ધાર્મિક સંસ્થાઓ રસી પર સવાલ ઉઠાવી રહી હતી.
"આશા રાખું છું કે રસીમાં એવું કશું ઉપયોગમાં લેવામાં આવ્યું નથી, જે અમારા ધર્મની વિરુદ્ધનું છે"
સઇદ નૂરીએ રવિવારે કહ્યું કે, હું સરકારના નિર્ણયનું સ્વાગત કરું છું અને રસી તૈયાર કરનારી કંપનીઓને અભિનંદન આપું છું. જો કે, આ દરમિયાન પણ તેમણે રસી અંગે સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું, "હું આશા રાખું છું કે રસીમાં એવું કશું ઉપયોગમાં લેવામાં આવ્યું નથી, જે અમારા ધર્મની વિરુદ્ધનું છે."
ભારતીય સૂફી મુસ્લિમોની સંસ્થા રઝા એકેડેમીએ થોડા દિવસો પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે રસી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. સંગઠને ચિંતા વ્યક્ત કરી હતી કે તેઓને ખબર પડી છે કે રસી બનાવવા માટે ડુક્કરના અંશનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
WHO પાસેથી વેક્સીનનું લિસ્ટ માંગ્યું
આ સિવાય આ સંગઠને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પાસેથી ડેવલપ થઇ રહેલી રસીઓની સૂચિ માંગી હતી અને આ સૂચિમાં રસી ઉત્પાદનમાં શામેલ કરવામાં આવતી વસ્તુઓના નામ પણ સામેલ કરવા જણાવ્યું હતું. સંગઠને લખ્યું કે અમને લિસ્ટ મોકલવામાં આવે જેથી અમે રસી લેવી કે નહીં તે નિર્ણય કરી શકીએ.
ભારતમાં કોરોના વાયરસની રસીને DCGIએ આપી મંજૂરી
DCGIએ આજે એલાન કર્યું કે ભારતમાં કોરોના વાયરસની બે વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા પહેલી જાન્યુઆરીએ કોવિશિલ્ડ અને બીજી તારીખે બાયોટેકની વેક્સિનને સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેને હવે સર્વોચ્ચ સંસ્થાએ પણ કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે.
DCGIએ કહ્યું કે બંને વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે આ તેનો ઉપયોગ ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવશે. આ બંને વેક્સિનમાં બે બે ડોઝ આપવામાં આવશે.