ગુજરાતમાં દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં સૌથી મોટી માહિતી ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણે કુલ 13 મોત થઈ હોવાની માહિતી સામે આવી છે.
ગુજરાતમાં વીજ પૂરવઠો ખોરવાયો
આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે. 5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ચૂકી છે. 3850 ગામમાં વીજ પૂરવઠાની કામગીરી ચાલુ છે. 220kvના 5 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયા છે. જ્યારે 4માં કામગીરી ચાલુ છે. 66kvના 165 સબસ્ટેશન અસરગ્રસ્ત થયેલા હતા. જેમાંથી 68 ફરી શરૂ થઈ ગયા છે. આશરે 950 જેટલી ટૂકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે.
હજારોની સંખ્યામાં થાંભલાઓ તૂટી ગયા
69,429 વીજ થાંભલા તૂટી ગયા છે. સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં હોવાથી તેમાં વીજ પુરવઠાની અસર પહોંચી હતી. જેમાંથી 83 કોવિડ હોસ્પિટલમાં વીજ પૂરવઠો ચાલુ થઈ ગયો છે. 39 હોસ્પિટલમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાની કામગીરી શરૂ છે. 674 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેમાં 562 રસ્તાઓ ચાલુ થયા અને 112 રસ્તાઓ ફરી કાર્યરત કરવાની કામગીરી ચાલુ છે.
ગુજરાતમાં વરસાદના આંકડાઓ
ગુજરાતમાં 46 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં 6 જેટલા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ઉમરગામમાં 14 ઈંચ વરસાદ સૌથી વધુ નોંધાયો. ગુજરાતના 12 તાલુકામાં 6થી વધુ અને 10 તાલુકા એવા જ્યાં 5 ઈંચથી વધુ વરસાદ છે. તો 96 એવા તાલુકા છે જ્યાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ભાવનગરમાં વીજ પુરવઠો ફરી શરૂ થયોઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાવનગરમાં વીજ પુરવઠો સમગ્ર રીતે બંધ થઈ ગયો હતો. જે હવે ફરી ચાલુ કરી દેવાયો છે. ભાવનગરમાં ભારે પવનના કારણે લાઈટો ડૂલ થઈ હતી. તો સાથે સફાઈની કામગીરી કરવા માટે શ્રમિકોને મોકલી દેવાયા છે.
પાક, મકાન અને સ્થળાંતરીત લોકોને નુકસાનનું વળતર
મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતો અને ખેતરોનું મોટું નુકસાન સામે આવ્યું છે. જેમાં ઉનાળા પાક તલ, બાજરીના પાકનું પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. નુકસાનનું વળતર સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે. માછીમારોના નુકસાનનું પણ સર્વે કરાશે. પશુપાલન વિભાગને પણ પશુઓના નુકસાન અંગે પણ સર્વે કરવાની કામગીરી સોંપાઈ જશે. તો જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા તેમને કેશ ડોલ આપવામાં આવશે.
2 દિવસ માટે તંત્રના તમામ કર્મચારીઓ કામે લાગશે
મુખ્યમંત્રીએ કહ્યું કે, આજની બેઠકમાં એ પણ નિર્ણય થયો છે કે, ગુજરાતના તમામ અસરગ્રસ્ત શહેરોમાં પુરુ તંત્ર રિસ્ટોર કરવાની કામગીરીમાં 2 દિવસ સતત કાર્યરત રહેશે.
કોવિડ હોસ્પિટલમાં કોઈ નુકસાન નથી
મુખ્યમંત્રીએ કહ્યું કે, તૌકતેના આગમનને લઈ કોવિડ હોસ્પિટલના નુકસાનની ચિંતા હતી. પરંતુ કોવિડ હોસ્પિટલને કોઈ નુકસાન થયું નથી. જે એક સારું પરિણામ છે. તમામ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં લોકો હેમ-ખેમ છે.
હું તમામ જગ્યાનું નિરીક્ષણ કરવા જઈશ
પત્રકારોનો જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, હું અસરગ્રસ્ત તમામ જિલ્લાઓની મુલાકાત માટે જઈશે. અમારા તમામ મંત્રીઓ અલગ-અલગ જિલ્લામાં બેસીને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. સૌરભ પટેલ પણ રાજકોટમાં બેસીને વીજ પૂરવઠાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેઓ સતત લોકોની સમસ્યા સાંભળી રહ્યા હતા.