વર્ગમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને ટેસ્ટ કરાવવા સૂચના
દેશમાં કોરોનાની ત્રીજી લહેર ખતમ થતા સ્કૂલો શરૂ રાબેતા મુજબ ફરીથી શરૂ કરી દેવાઇ છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતની સ્કૂલોમાં પણ કોરોનાએ દેખા દીધી છે. તાજેતરમાં જ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં ધોરણ 2નો વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયો છે. આથી વર્ગને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. વર્ગમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને ટેસ્ટ કરાવવા પણ સૂચના આપી દેવાઇ છે.
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં 60થી વધારે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરની ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં પણ કુલ 60થી વધારે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી તમામ સ્ટાફ અને ફેકલ્ટી માટે એક સપ્તાહ સુધી વર્ક ફ્રોમની જાહેરાત કરી દેવાઇ છે. GNLUમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દિવસ જાય તેમ અન્ય નવા કેસ સામે આવી રહ્યાં છે. ગઇ કાલે નેશનલ લૉ યુનિવર્સિટીમાં વધુ 9 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આથી, તમામ સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં છે. વધતા કેસને પગલે સમગ્ર સ્ટાફનો કોરોના ટેસ્ટ પણ કરવાની સૂચના અપાઇ હતી.
GNLUમાં પોઝિટિવ કેસનો કુલ આંક 60ને પાર થયો છે. કેમ્પસમાં રહેતા તમામ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર મનપા આરોગ્યની 3 ટીમ ટેસ્ટિંગ માટે ફાળવાઈ હતી. વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ આવતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન કરાયા છે. બહારથી આવતા લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.
એક સપ્તાહ માટે વર્ક ફ્રોમ હોમ
GNLU કેમ્પસમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ થઇ ગયા છે. જે પણ વિદ્યાર્થીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તેઓ ઝડપથી સ્વસ્થ થવામાં છે. મોટાભાગના એસિમ્પટોમેટિક કે હળવા લક્ષણો ધરાવે છે. જોકે, હજુ ફેકલ્ટીના ટેસ્ટિંગ બાકી છે. મહત્વનું છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૩૦ના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ચારના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં જે પાંચ વિદ્યાર્થીના આરટીપીસીઆર કરાયા તેઓ પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તો વધતા કોરોનાના કેસને કારણે GNLU દ્વારા તમામ ફેકલ્ટી અને સ્ટાફ માટે આગામી એક સપ્તાહ માટે 'વર્ક ફ્રોમ હોમ' જાહેર કરવામાં આવ્યું છે.
દેશમાં કોરોનાએ ફરી એક વાર પગ પેસાર કરવાનું શરૂ કર્યું છે. આ ચોથી લહેરના ભણકારા હોઈ શકે છે. કંઈ નહીં તો આ આંકડા તો ઈશારા કરી જ રહ્યા છે. ત્યારે આવા સમયે ફરી એક વાર સતર્ક રહેવાની જરૂર છે. મંગળવારે દુનિયામાં કોરોના સંક્રમિતોના આંકડા 50 કરોડને પાર થઈ ગયા છે. દુનિયાના 10 દેશોમાં ચોથી લહેરે દસ્તક આપી છે. તેમાંથી અમેરિકા, બ્રાઝિલ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઈટલી, રશિયા, ફ્રાંસ, જાપાન, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા અને ઓેસ્ટ્રિયા સામેલ છે.
છેલ્લાં 28 દિવસની અંદર દેશમાં 5474 લોકોના મોત
હવે ભારતના આંકડા ડરાવી રહ્યા છે. છેલ્લાં 28 દિવસની અંદર દેશમાં 5474 લોકોના મોત થયા છે. ત્યારે આ તમામની વચ્ચે 40 હજાર 866 લોકો સંક્રમિત થયા છે. જો કે, રાહતની વાત એ છે કે, આ ચાર અઠવાડીયાની અંદર સંક્રમણથી 58 હજાર 158 લોકો સાજા પણ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના 29 જિલ્લામાં કોરોના બેકાબૂ છે. એટલે કે, આ જિલ્લામાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધારે છે.
દેશમાં 11 એપ્રિલથી કોરોનાના 796 નવા કેસ આવ્યા, પણ ત્રણ રાજ્યોના આંકડામાં મોટા વધારો થયો છે. તેમાંથી ગુજરાત, દિલ્હી અને હરિયાણા શામેલ છે. ગુજરાતમાં રોજ આવતા નવા કેસમાં 42.4 ટકા, દિલ્હીમાં 34.9 ટકા અને હરિયાણામાં 18.11 ટકા કેસોનો વધારો થયો છે.
22થી 28 માર્ચમાં સૌથી વધારે મોત
સંક્રમણથી થનારા મોતના એનાલિસિસ કરવામા આવ્યું છે. ડેટા હેરાન કરનારા છે. 15થી 21 માર્ચ સુધી દેશમાં 471 લોકો સંક્રમણને કારણ જીવ ખોયો છે. પણ તેના આગામી અઠવાડીયે એટલે કે, 22થી 28 માર્ચની વચ્ચે મરનારા લોકોના આંકડા 4465 થઈ ગયા. 25 માર્ચે સૌથી વધારે 4100 મોત થઈ ગયા હતા.
સૌથી વધારે 4007 મોત મહામારાષ્ટ્ર અને 81 મોત કેરલમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રના ડેટા સંશોધન કરતા જાણવા મળે છે કે, મરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. રાજ્ય સરકાર અહીં જૂના મોત સાથે તેને જોડીને જોઈ રહ્યા છે. આ સંખ્યાના કારણે આ અઠવાડીયે મરનારા આંકડા ખૂબ વધારે છે. ત્યાર બાદ 19 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે 315 અને 5થી 11 એપ્રિલ વચ્ચે 223 મોત થયા.
દેશમાં અત્યાર સુધીમાં 4.30 કરોડ સંક્રમિત
દેશમાં અત્યાર સુધીમાં 4.30 કરોડ લોકો સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. તેમાંથી 4.25 લોકો સાજા થઈ ચુક્યા છે. 10 હજાર દર્દીઓની હાલમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી 5.21 લાખ દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે.
ફરી એક વાર કોરોનાએ પગપેસારો કર્યો
કહેવાય છે કે, દિલ્હી-એનસીઆરની કેટલીય શાળામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં કોરોના જોવા મળ્યો છે. જેને લઈને શાળાઓને ફરી એક વાર બંધ કરી દેવામાં આવી છે અને ફરી એક વાર ઓનલાઈન ક્લાસ શરૂ થયા છે. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે બાળકો અને વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વ્યાપી
સ્વાભાવિકપણે કોરોનાના કેસો ઘટવા અને સ્કૂલોને ફરીથી ખોલવી એક સારા સંકેત છે, પણ વાલીઓએ ધ્યાન રાખવું પડશે કે, કોરોના મહામારી વિરુદ્ધ જંગ હજૂ પણ ખતમ થયો નથી. એશિયા અને યુરોપના કેટલાય દેશોમાં ચોથી લહેરનું આગમન થઈ ગયું છે અને કેસો ઝડપથી વધી રહ્યા છે. ત્યારે આવા સમયે લોકો પોતાના બાળકોને પાછા સ્કૂલે મોકલી રહ્યા છે, તેમને અમુક લક્ષણો ધ્યાનમાં રાખવા જોઈએ. જો બાળકોમાં અમુક કોરોના જેવા લક્ષણો દેખાય તો, બાળકોને સ્કૂલે મોકલવાની ભૂલ ન કરતાં.