આજ(સોમવાર)થી અમદાવાદમાં ST બસ સેવા ફરી શરૂ થવાની છે. લૉકડાઉન બાદ પ્રથમ વખત અમદાવાદમાં ST શરૂ થવાની છે. તેને લઈને હાલ એસ.ટી પ્રશાસને તમામ તૈયારીઓ કરી લીધી છે. જો કે કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતા ગીતા મંદિર બસસ્ટેન્ડનો લોકોને ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે. મુસાફરોને ગીતામંદિર બસ સ્ટેશનને ન આવવા અપીલ કરવામાં આવી છે. રાણીપ, નહેરૂનગર બસ સ્ટેશનથી સંચાલન કરવામાં આવશે. કૃષ્ણનગર, નારોલ, CTM બસ સ્ટેશનથી પણ સંચાલન કરવામાં આવશે.
રાજ્યમાં આજથી કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં ST બસ સેવા પૂર્વવત
લૉકડાઉન બાદ પ્રથમ વખત અમદાવાદમાં ST શરૂ
અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેશનનો ઉપયોગ કરાશે નહીં
ગુજરાત સરકાર દ્વારા ST બસને ફરી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સોશિયલ ડિસન્ટસીંગનું જરૂરી પાલન થાય તે પ્રકારની શરતોને આધીન અને ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશ અનુસાર ST બસોનું રાજ્ય વ્યાપી સંચાલન શરૂ કરવા એસ.ટી તંત્રને પ્રેરિત કર્યું છે. આ અનુસાર ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા કન્ટેઇનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન 1 જૂન 2020થી શરૂ કરવામાં આવશે.
વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ આ અંગેની વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ અગાઉ તા. 20 મે 2020થી તદ્દન હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ ઝોન વાઈઝ સંચાલનની વ્યવસ્થા હવે રદ કરવામાં આવી છે. નિગમ દ્વારા તા. 1 જૂન 2020થી જે સંચાલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે રાજ્ય સરકારએ નક્કી કરેલા કન્ટેઇનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસ સેવાઓ સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
અમદાવાદ તથા સુરત જીલ્લા ખાતેથી થનાર સંચાલનમાં કુલ બેઠકની ક્ષમતાના મહત્તમ 50 ટકા (કોઈ મુસાફર બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશે નહિ) તેમજ અન્ય વિસ્તાર માંથી થનાર સંચાલનમાં કુલ બેઠક ક્ષમતાના મહત્તમ 60 ટકા(કોઈ મુસાફર બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશે નહિ) તે મુજબ મુસાફરો ની સંખ્યા સાથે સંચાલન કરવામાં આવશે.
રાજ્ય સરકાર તરફથી અન્ય સૂચના ના મળે ત્યાં સુધી અમદાવાદ ગીતામંદિર મુખ્ય બસ સ્ટેન્ડ ખાતેથી કોઈપણ બસ સેવા શરૂ કરવામાં આવશે નહીં.
વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે
સૌરાષ્ટ્ર તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર
દક્ષિણ ગુજરાત તરફ જવા માટે રાણીપ, નહેરૂનગર અને કૃષ્ણનગર
ઉત્તર ગુજરાત તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર
મધ્ય ગુજરાત/પંચમહાલ તરફ જવા માટે રાણીપ, નહેરૂનગરથી સેવા મળી રહેશે
બસના મુસાફરોને આ નિયમો પાળવા પડશે
બસ કોઈપણ રૂટ કન્ટેઇનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાંથી પસાર થશે નહિ. બસના મુસાફરો ઈ-ટીકીટ/મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે આમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ના પડે તે માટે સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેશન પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કન્ડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ ઇસ્યુ કરવામાં આવશે. બસમાં મુસાફરી કરનાર મુસાફરે તેઓની ટ્રીપ ઉપડે તે પહેલા ઓછામાં ઓછા ૩૦ મિનીટ વહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે.
દરેક બસ ટ્રીપ પૂર્ણ થયેથી સેનેટાઈઝ કરી અને બીજી ટ્રીપમાં ઓપરેટ થશે. ડેપો બસ સ્ટેન્ડ ખાતે માત્ર માસ્ક પહેરેલ હોય તેઓને જ પ્રવેશ આપવામાં આવશે. બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને લક્ષણ વિહીન મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે અને આ સમયે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તેની તકેદારી રાખવા નું સૂચનાઓ અપાઇ છે.
બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ આપવામાં આવશે. બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બોર્ડીગ અને ડી બોર્ડીગ કરાવવામાં આવશે.