હાલમાં રાજસ્થાનના કોટા અને બૂંદીમાં નવજાત બાળકોના મોતનો આંક 6 જાન્યુઆરી સુધીમાં 110ને પાર પહોંચ્યો હતો. અન્ય તરફ ગુજરાતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ત્રણ મહિનામાં 253 બાળકોના મોત થયા છે. અમદાવાદ અને રાજકોટ સિવિલમાં ડિસેમ્બર મહિનામાં 219 બાળકોના મોત થયા છે. આ તમામ બાળકોના મૃત્યુ માટે ઠંડી, કુપોષણ, જન્મજાત બીમારી, અધુરા મહિને જન્મને કારણ માનવામાં આવી રહ્યું છે. આ સિવાય હાઈપોથેમિયા બીમારીને કારણભૂત માનવામાં આવી રહી છે. તો જાણો ટેસ્ટ ટ્યૂબ બેબી સ્પેશ્યાલિસ્ટ ડૉ. શીતલ પંજાબી આ અંગે શું કહે છે.
શિશુ મૃત્યુદરના બનાવો
મૃત્યુ માટે જવાબદાર છે આ કારણો
રોજિંદા જીવનમાં રાખી લો આ વાતોનું ધ્યાન
શું કહે છે એક્સપર્ટ વ્યૂ...
અમદાવાદના જાણીતા ડોક્ટર શીતલ પંજાબી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે બાળકોના સતત વધતા જતા મૃત્યુદરમાં કેટલીક ખાસ વાતો મહત્વનો ભાગ ભજવે છે. તેના માટે કારણોની સાથે સાવધાની રાખવામાં આવે તો આ મૃત્યુદર ઘટાડી શકાય. બાળક જન્મે ત્યારે તો ઠીક પણ કે પહેલાંથી જ સગર્ભા માતા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખે તો બાળકને કુપોષણથી બચાવી શકાય છે.
બાળક જન્મે ત્યારે આ વાતનું રાખો ધ્યાન
બાળક જન્મે ત્યારથી તેની ખાસ કેર રાખવી. બાળક જન્મે અને તે પ્રીમેચ્યોર હોય તો તેની કેર કરવામાં ખાસ ધ્યાન રાખવું. તેને ગોદડીમાં કે ગરમ કપડામાં લઈ જવું. બાળકને કોરું કરવું, બ્લેન્કેટમાં રેપ કરવું. માથાનો ભાગ થોડો ખુલ્લો રાખવો જેથી તે સારી રીતે શ્વાસ લઈ શકે. જો આમ કરાશે તો નવજાત શિશુ હાલની ઠંડી અને સાથે જ શરીરનું ટેમ્પ્રેચર જાળવી શકે છે. જો આવું ન કરાય તો તેનું મોત થઈ જાય છે. બાળકને જન્મતાં વેંત જ તેને કોરું કરો અને ગરમ કપડાંમાં લપેટી લો. જેથી તેને હૂંફ મળી રહે.
સગર્ભા માતાએ રાખવું આ ખાસ વાતોનું ધ્યાન
ખાસ કરીને ગામડાની સગર્ભા બહેનોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તેઓએ આંગણવાડી બહેનો દ્વારા આપવામાં આવતી દવાઓ, ઈન્જેક્શન અને પાવડરનો ઉપયોગ કરવો જોઈએ. આ વસ્તુઓ તેમના અને તેમનામાં વિકસી રહેલા ગર્ભને પોષણ મળી રહે તે માટે હોય છે. ઘણી વાર સુવિધા મળવા છતાં મહિલાઓ આ વસ્તુઓ વાપરતી નથી અને તેના કારણે કુપોષિત બાળકો જન્મે છે. જે જન્મતાં વેંત જ મૃત્યુ પામે છે. બાળકને ગળથૂથી આપવાની પરંપરા છે. આ પણ ટાળો કારણ કે તેનાથી પણ બાળકને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.
નવજાતનો મૃત્યુદર ઘટાડવા માટે પહેલાંથી જ અપનાવી લો આ ઉપાય
ગામડામાં ઘરે ઘરે સરકારી સેવાઓ મળે છે તેનો લાભ લેવો.
દવાઓ અને જે પોષણયુક્ત ખોરાક આપવામાં આવે તેનો ઉપયોગ કરો, અવગણો નહીં.
હોસ્પિટલમાં ડિલિવરીનો આગ્રહ રાખો અથવા તો ગર્વમેન્ટ યોજનાનો લાભ લેવાનું રાખો, આ સિવાય ટ્રેન્ડ આંગણવાડી બહેનોની મદદ લેવી.
ધનુરની રસી લેવી.
જો બાળક પ્રીમેચ્યોર જન્મે છે તો તેને કોરું કરો અને ચોખ્ખા કપડાં કે ધાબળામાં લપેટી લો, જેથી તેને તરત જ હૂંફ મળી રહે.
તરત જ તેને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જાઓ.
તમે અંતરિયાળ વિસ્તારમાં છો તો 108ની મદદ લો અને બાળકને હોસ્પિટલ લઈ જાઓ.
ફ્રી સરકારી સેવાઓનો લાભ લો અને બાળકને પ્રીમેચ્યોર સ્ટેજમાં જ સંભાળી લો જેથી તેને ખોવી ન દો.
ડિલિવરી સમયે માતાને પણ કોમ્પલીકેશન્સ ન થાય તેનું ધ્યાન રાખો.
સ્ટરીલાઈઝ્ડ વસ્તુઓથી નાયડો કાપવો જેથી ઈન્ફેક્શનનો ડર ન રહે.
બાળકને ગળથૂથી પીવડાવવાનું ટાળો.
બાળક ઠંડું થઈ જાય કે પછી બેભાન થઈ જાય તો તેના હાથ-પગ કે તળિયા ઘસવાના બદલેતેને પહેલાં ગરમ કપડાંમાં લપેટો અને ગરમી આપવાનો પ્રયાસ કરો.
તેને તરત જ ડોક્ટર પાસે લઈ જાઓ, હોસ્પિટલની ટ્રીટમેન્ટ જો બાળકને તરત જ મળશે તો બાળક ઝડપથી બચી શકે છે.
ગરમાવો આપતી સમયે ધ્યાન રાખો કે કોઈ ગરમ વસ્તુ સીધી બાળકને ન અડાડો. સ્કીન ઠંડી હોય અને તમે ગરમ વસ્તુ તેને એડાડશો તો તેની સ્કીન દાઝી જશે. કોઈ પણ વસ્તુ ગરમ પાણીની બેગ કે અન્ય ચીજને કપડાંમાં લપેટીને પછી ગરમાવો આપવાનો પ્રયત્ન કરો.