મોટાભાગે એવું જોવા મળે છે કે, વૃદ્ધાવસ્થાની સાથે સાથે વ્યક્તિની શારીરિક પ્રવૃત્તિઓ પર પણ અસર દેખાવાની શરૂ થઈ જાય છે. 45 વર્ષના લોકોની ચાલવાની ગતિનો અભ્યાસ કરીને સંશોધનકારોએ તેની પાછળનાં કારણો શોધ્યા હોવાનો દાવો કર્યો છે.
તમારી ધીમી ચાલ મૃત્યુની ઝડપ વધારે છે
ધીમું ચાલનારા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઝડપી ચાલનાર કરતા નબળી
જો કોઈ વ્યક્તિ જન્મથી યુવાવસ્થા સુધી ધીમે ધીમે ચાલે છે તો.....
સંશોધનકારોએ જણાવ્યું હતું કે, 45 વર્ષની ઉંમર પછી લોકોની અન્ય શારીરિક પ્રવૃત્તિઓ સાથે ચાલવાની ગતિ પર પણ અસર થાય છે, કારણ કે ચાલવાની ગતિનો સીધો સંબંધ આપણા મગજ સાથે હોય છે. જો આપણી ચાલ પ્રભાવિત થઈ રહી છે તો તેનો અર્થ એ છે કે આપણું મગજ વૃદ્ધ થઈ રહ્યું છે.
ધીમું ચાલનારા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઝડપી ચાલનાર કરતા નબળી
આ અભ્યાસના સંશોધનકારોમાં અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના સંશોધકોને પણ શામેલ હતા. અભ્યાસ દરમિયાન સંશોધનકારોએ શોધી કાઢ્યું હતું કે, ધીમી ગતિથી ચાલનારા લોકોના ફેફસાં, દાંત અને રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુન સિસ્ટમ) પણ ઝડપથી ચાલનારા લોકોની સરખામણીએ નબળી હતી.
જામા નેટવર્ક ઓપન નામના જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, વૃદ્ધ દર્દીઓએ સામાન્ય રીતે આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ નાની ઉંમરે આવી સમસ્યાઓથી ઘેરાયેલા રહેવું એ ખુબ ચિંતાજનક બાબત છે.
સંશોધનકારોએ જણાવ્યું હતું કે, ન્યુરોકૉગ્નિટીવ પરીક્ષણ દ્વારા એ વાતની જાણ થાય છે કે ભવિષ્યમાં કયા લોકોની ચાલવાની ગતિ ધીમી થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, વ્યક્તિના આઇક્યુ સ્તર, ભાષાને સમજવાની અને હતાશા સહન કરવાની ક્ષમતા અને ભાવનાત્મક નિયંત્રણનો અભ્યાસ કરીએ વાત જાણી શકાય છે કે, 45 વર્ષની ઉંમરે તેની ચાલવાની ગતિ કેવી હશે.
ધીમી ગતિથી ચાલનારા લોકોનું ઝડપથી ચાલતા લોકોની સરખામણીએ જલ્દીથી મૃત્યુ થાયઃ ઈ. મોફિટ
આ અભ્યાસના વરિષ્ઠ લેખક અને ડ્યુક યુનિવર્સિટીના સંશોધનકર્તા ટેરી ઈ. મોફિટે જણાવ્યું હતું કે, ડૉકટરો જાણે છે કે ધીમી ગતિથી ચાલનારા લોકોનું ઝડપથી ચાલતા લોકોની સરખામણીએ જલ્દીથી મૃત્યુ થાય છે. પરંતુ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જો કોઈ વ્યક્તિ જન્મથી યુવાવસ્થા સુધી ધીમે ધીમે ચાલે છે અને જો આ રીતે ચાલવું તેની આદત બની જાય તો તેનું મૃત્યુ સમયથી પહેલા થવાની શક્યતા ખુબ વધારે હોય છે.
આ અભ્યાસ માટે સંશોધનકારોએ ન્યૂઝીલેન્ડના ડુનેડિનમાં એક વર્ષ દરમિયાન જન્મેલા આશરે 1000 લોકોના ડેટાની તપાસ કરી અને 45 વર્ષની વય ધરાવતા 904 લોકોની ચકાસણી કરી હતી. આ સમયગાળા દરમિયાન તેમના જીવનમાં આવેલા શારીરિક-માનસિક ફેરફારોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
સંશોધનકારોએ જણાવ્યું હતું કે, અભ્યાસ દર્શાવે છે કે ધીમી ગતિથી ચાલનારા લોકોના મગજનું દળ ઓછું હોય છે અને મુખ્ય કૉર્ટીકલની જાડાઈ પણ સરેરાશ ઓછી હોય છે, જેની અસર તેમની ચાલવાની ગતિ પર પડે છે.