સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં બીજા માળેથી પટકતા દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ છે.
સુરતમાં વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો
બીજા માળેથી પટકતા દોઢ વર્ષના બાળકનું મોત
બાળક રમતા રમતા પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા
સુરતમાં બીજા માળેથી પટકાંઈ પડતા દોઢ વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ કરુણાંતિકાની પ્રાથમિક વિગત એવી છે કે સરથાણા ખાતે રહેતા રત્નકલાકાર પરિવારના દાદીએ ઠંડીને લીધે પૌત્રને તડકામાં બેસાડ્યો હતો. ત્યારબાદ દાદીનું ધ્યાન ન રહેતા બાળક રમતા રમતા બીજા માળેથી પટકાઈ પડ્યો હતો. જેને લઈને બુમાબુમ ઉઠતા આસપાસના લોકો દોડી ગયા હતા. આ ઘટનામાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ પૂરતી સારવાર મળે તે પહેલા બાળકનું મોત નીપજ્યું હતું.
રત્નકલાકાર પરિવાર ઉપર આભ તૂટ્યું
મહત્વનું છે કે, શહેરના સરથાણા ખાતે યોગેશ્વરનગર સોસાયટીની આ કરુણ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે. બીજી તરફ પુત્રના અકાળે મોતથી પરિવારજનોમાં પણ કાળો કલ્પાંત ફેલાયો છે. જાણવા મળતી વિગત મુજબ મૃતક બાળકના પિતા હિરેનભાઇને સંતાનમાં એક દોઢ વર્ષીય પુત્ર વર્ણી જ હતો. જેના મોતને લઈને રત્નકલાકાર પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.
બાળકને ભૂલતી પણ એકલું ન મૂકવું જોઈએ
વાલીઓ માટે ચેતવણી સમાન અને વાલીઓની આંખ ઉઘડતાં આ કિસ્સાને લઈને વાલીઓ જાગૃત બનવું જોઈએ જેમાં અકસ્માત થાય તેવા સ્થળોએ વાલીઓએ ભૂલથી પણ નાના બાળકોને એકલા ન મુકવા જોઈએ. મહત્વનું છે કે ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટના સામે આવી છે ત્યારે આવા કિસ્સાઓમાં સાવચેતી જરૂરી છે.