અમદાવાદઃ કોંગ્રેસનો સાથ છોડીને રાજ્યસભાની ચૂંટણી સમયે બળવો કરનારા શંકરસિંહ વાઘેલા એક વર્ષથી હાંસિયામાં ધકેલાયા હતા. જોકે 2019ની ચૂંટણી નજીક આવતા શંકરસિંહ ફરી સક્રિય થયા છે. શંકરસિંહ વાઘેલા ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના પિતાની ખબર કાઢવા માટે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
હકુભાના પિતા થોડા સમયથી યુએન મહેતામાં સારવાર લઇ રહ્યા છે ત્યારે તેમને મળવા શંકરસિંહ વાઘેલાના આવી પહોચતા રાજકારણ ગરમાવવાની સંભાવના હતી. પરંતુ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ માત્ર સૌજન્ય મુલાકાત હતી.
મહત્વનું છે કે 2012માં જામનગર ઉત્તરની બેઠક પર કોંગ્રેસનો કબજો હતો. ત્યારબાદ 2012ની વિધાનસભા ચૂંટણી ધર્મેન્દ્રસિંહ આ બેઠક પરથી લડ્યા હતા અને ભાજપના મુલુ બેરાને હાર આપી હતી. જો કે કોંગ્રેસ તરફથી ફરી 2017 વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ ન મળતા તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતા. ત્યારબાદ તેઓ આ બેઠક પરથી જીત્યા હતા.