જગત અને તેના પદાર્થો પરિવર્તનશીલ હોવાથી ઊતરતી કોટિના છે. તેમ છતાં તેનો તાત્કાલિક અનુભવ તેમજ તેના આધારે વ્યવહાર થતો હોવાથી આથી તેનો સમાવેશ વ્યાવહારિક સત્તામાં થાય છે. સૌથી નીચી સત્તા પ્રાતિભાસિક સત્તા છે. મંદ અંધકાર હોય ત્યારે ગૂંચળુ વાળીને પડેલા દોરડામાં દૂરથી જોતાં સાપ દેખાય છે.
આથી ક્ષણમાત્ર માટે પણ સાપનો અનુભવ આપણામાં ડરનો અનુભવ કરાવતો હોવાથી શંકરાચાર્ય એને પ્રાતિભાસિક સત્તા એવું નામ આપે છે. આભાસને પણ ક્ષણમાત્ર અસ્તિત્વ હોવાથી એનું અસ્તિત્વ કબૂલ કરવું રહ્યું.
શંકરાચાર્ય બ્રહ્મને પરમતત્વ માને છે અને એ જ બ્રહ્મ માયાજનિત ઈશ્વર બનીને જગતનું સર્જન, પાલન અને વિસર્જન કરે છે. ખરેખર તો જગતનું સર્જન કે વિસર્જન થતું જ નથી. તેમ છતાં જગતનું સર્જન અને વિસર્જન અનુભવાય છે તો એનો સર્જક, ચાલક તેમજ સંહારક માયાજનિત ઈશ્વર છે.
રાત્રે સ્વપ્નમાં વાઘ આપણા પર હુમલો કરે ને ‘હવે આપણે મરી ગયા’ એમ ડરીને આપણે જાગી જઈએ ને આપણને જાણ થાય કે ‘અરે, હું તો સ્વપ્ન જોઈ રહ્યો હતો, વ્યર્થ ડરતો હતો. ક્યાં છે વાઘ ને ક્યાં છે મૃત્યુ ?’
આમ શંકરાચાર્ય આપણને કહે છે કે જ્યારે આત્મા શરીરનાં બંધનો ફગાવી દઈને મુક્તિનો અનુભવ કરે છે ત્યારે તેને જ્ઞાન થાય છે કે જગત છે જ નહિ. સર્વત્ર આત્મા જ છે, જેમાં કોઈ ભેદ જ નથી. તમામ જડ-ચેતન પદાર્થો, પત્ની-પુત્રો આદિ સગાવ્હાલા, બંગલો-ગાડી, ધન-દોલત જેવા ભેદો શરીર ધારણ કર્યા બાદ ઊભા થાય છે.
મુક્તિ બાદ સંસાર રહેતો જ નથી. મુક્ત આત્માને જગત એક વીતી ગયેલું સ્વપ્ન માત્ર અનુભવાય છે. ખરેખર, મુક્ત ન થઈએ ત્યાં સુધી આપણે સહુ કેવા એક વિશાળ સ્વપ્નમાં જીવી રહ્યા છીએ અને સુખ-દુ:ખનો અનુભવ લઈ રહ્યા છીએ ! શંકરાચાર્યનો આ બ્રહ્મનો સિદ્ધાંત છે. શંકરાચાર્યનો માયાનો સિદ્ધાંત અન્ય તમામ આચાર્યો દ્વારા ટીકાને પાત્ર બન્યો છે તેમ છતાં વૈશ્વિક તત્વજ્ઞાનમાં તેનું સ્થાન બેજોડ છે.•