બીજી ટી-20 માં વિજય બાદ હવે ભારતની નજર આગામી મેચો પર છે. વિસ્ફોટક ઓપનર રોહિત શર્મા ફરી ટીમ સાથે જોડાય તેવી સંભાવના છે ત્યારે પ્લેઇન્ગ ઇલેવનમાં કોણ હશે તે જોવું રસપ્રદ રહેશે.
ત્રીજી ટી-20 માં રોહિત શર્મા પણ ટીમ સાથે જોડાશે
પ્લેઇંગ ઇલેવનમાં કોને સ્થાન આપવું એ મોટો પ્રશ્ન
આ વર્ષે ભારતમાં યોજાશે ટી-20 વર્લ્ડ કપ
રોહિત શર્માની ટીમમાં વાપસી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટી-20 સીરિઝ રસપ્રદ વળાંક પર છે. બંને ટીમો 1-1 થી બરાબરી પર છે ત્યારે આગામી મેચો પર ચાહકોની નજર છે. ભારત તરફથી ઇશાન કિશન, વિરાટ કોહલી, રિષભ પંત જેવા બેટ્સમેનો પોતાની ધુંઆધાર બેટિંગનો પરચો બતાવી ચૂક્યા છે. પ્રથમ બે મેચોમાં લોકેશ રાહુલ નિષ્ફળ ગયો હતો પરંતુ તેનો બેટિંગ રેકોર્ડ જોતાં તેની અવગણના થઈ શકે તેમ નથી. આ સિવાય હાર્દિક પંડયા અને વોશિંગ્ટન સુંદર જેવા બેટ્સમેનો લોઅર ઓર્ડરમાં પણ પોતાની કરતબ બતાવી શકે છે. ભારતીય ટીમનો નિયમિત ઓપનર રોહિત શર્મા આગામી આવનારી મેચોમાં ભારતીય ટીમ સાથે જોડાય તેવી સંભાવના વચ્ચે વર્તમાન ટીમમાંથી કોઈ એક બેટ્સમેનને પડતો મૂકવામાં આવશે
આ વર્ષે ભારતમાં ટી-20 વર્લ્ડ કપ યોજાશે
આ વર્ષના અંત ભાગમાં આઇસીસી ટી-20 વર્લ્ડકપ યોજાવા જઇ રહ્યો છે. વર્લ્ડકપની યજમાની ભારત કરવાનું છે તેથી ભારતને ઘરઆંગણે રમવાનો ફાયદો પણ મળશે.વર્લ્ડ-કપ પહેલા આ શ્રેણી ખૂબ મહત્વની શ્રેણી છે. પરંતુ ભારતીય ટીમ સિલેક્ટર્સ માટે ટીમ સિલેક્શન બહુ અઘરો પ્રશ્ન રહેશે. ભારતની ટીમ પાસે દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનોની બેટિંગ લાઇનઅપ છે. ધુંઆધાર બેટ્સમેનોની ફૌજ વચ્ચે કયા બેટ્સમેનને તક આપવી અને કયા બેટ્સમેનને પડતો મૂકવો એ મોટી સમસ્યા રહેશે.
સુર્યકુમાર યાદવ માટે આગામી મેચમાં પ્રશ્નાર્થ
ભારતે બીજી ટી-20 મેચમાં ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું હતું. ઇશાન કિશને પોતાની પ્રથમ મેચમાં જ મજબૂત દાવેદારી નોંધાવતા શાનદાર બેટિંગ કરી અર્ધી સદી ફટકારી દીધી હતી. તો અન્ય બેટ્સમેનો ભારતીય ટીમના નિયમિત સદસ્યો હોવાના નાતે એમને પડતાં મૂકી શકાય એમ ન હોવાથી સુર્યકુમાર યાદવને પડતો મૂકવામાં આવે એવી સંભાવના છે.
સ્પિનરો માટે પણ અઘરી પરીક્ષા
ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ એટલી મજબૂત છે કે હવે ટીમ મેનેજમેન્ટ માટે કયા બેટ્સમેનને રમાડવો અને કોને પડતો મૂકવો એ અઘરો પ્રશ્ન થઈ ગયો છે. સાથોસાથ ટીમમાં સ્પિન બોલિંગ કરી શકતા વિકલ્પો પણ ઘણા વધારે હોવાથી ટીમ માટે બેટિંગ અને બોલિંગ બંને કરી શકે એવા સ્પિનરની પસંદગી કરવી અનિવાર્ય છે. વર્લ્ડ-કપની ટીમ માટે રવીન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ જેવા સ્પિનર્સના પ્રદર્શન પર સૌની નજર રહેશે.