સાબરકાંઠામાં તાજેતરમાં જ બખડજંતર રોડને કારણે નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનામાં 3 લોકોનાં મોત થયા હતાં. જેથી આ ઘટનાને લઇ સાબરકાંઠા જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. જેને લઇને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા (SP) એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને નોટિસ પાઠવી અને રોડ રિપેર કરવા માટે કહ્યું. ઉપરાંત જો અકસ્માતમાં કોઈનું મોત નિપજ્યું તો જે તે જવાબદાર અધિકારી સામે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધવા માટેની પણ વાત કરવામાં આવી.
વરસાદ બાદ રોડનું ધોવાણ
સાબરકાંઠા (Sabarkantha) એસપી ચૈતન્ય મંડલીક (Chaitanya Mandalik) એ જણાવ્યું કે, સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઈવે 8 (NH) (National Highway 8) પર સિક્સ લેનની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે એક બાજુ રાજ્યભરમાં ચારે બાજુ વરસાદે માઝા મૂકી છે. જેથી આ હાઈવે પણ ઘણો ખરો ધોવાઈ ગયો છે અને ઝીણી ઝીણી કપચીઓ પણ ઉખડી જતા હાઇવે પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે.
હાલમાં સિક્સલેનની આ કામગીરીને ધ્યાને રાખતા અનેક જગ્યાઓ પર ડાયર્વઝન અપાાત રોડની બંને સાઈડો ખોદવામાં આવેલી હોવાથી તેમજ રોડની કિનારી પરના જેટલાં પિલ્લરો આવેલાં છે તે એક લાઈનમાં ન હોવાંથી ઉપરાંત ઘણી ખરી જગ્યાએ આડા પડેલા પિલ્લરો પર રેડિયમ પણ લગાવેલા ન હોવાંથી તે રાત્રીનાં સમયે નથી દેખાતા આ હાઇવે પર ઘણીક વાર વાહનો અથડાતા અકસ્માતો સર્જાય છે. જેથી આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખતા જિલ્લા પોલીસ વડાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને નોટિસ પાઠવી છે.
પ્રાંતિજની હદનાં અકસ્માતનો વિશેષ ઉલ્લેખ
આ નોટિસમાં પ્રાંતિજ પોલીસની હદમાં 16 ઓગસ્ટનાં રોજ બ્લુમ ડેકોર ફેક્ટરી સામેના અકસ્માતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે ખાડાના કારણે જ અકસ્માતનો બનાવ બન્યો કે જેમાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત બાદ બિલકુલ નવી SUVનાં એક કાર ચાલકે દંડ ભરવાનો પણ ઈન્કાર કર્યાનો હોવાંનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેથી હવે પોલીસ એક્શન મોડમાં આવી છે અને રોડનું સમારકામ જલ્દીથી કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
અકસ્માત અટકાવવા કડક કાર્યવાહી કરવા અંગેની નોટીસ
ભારે ટ્રાફિકને કારણે અત્યંત વ્યસ્ત એવો NH નં 8 પર ખાડાઓને કારણે નાના-મોટા વાહનોને પંક્ચર પડવું ઉપરાંત અન્ય કેટલાંક નુકસાનને કારણે હાઇવે પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ જાય છે. જેથી આ સમસ્યાને અટકાવવા માટે રોડ પરના ખાડાઓનું સમારકામ કરવા અને જ્યાં-જ્યાં ડાયવર્ઝન આપેલા હોય અથવા તો એક તરફી જ રોડ કરેલા હોય ત્યાં રાત્રે અને દિવસે સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સાયનેજીસ બોર્ડને લગાડવા.
દિલ્હીથી મુંબઈનું જોડાણ
NH નં 8 એ દિલ્હી મુંબઈને એકબીજા સાથે જોડે છે. જેથી અહીં હાઇવે પર અનેક મોટા વાહનોની અવરજવર સતત ચાલુ જ રહે છે. આ ઉપરાંત VVIP લોકોની અવરજવર પણ સતત ચાલુ જ રહે છે. પરંતુ અહીં સિક્સલેનની કામગીરીથી પડતા ખાડાઓને કારણે વાહનચાલકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
અકસ્માતનો નોંધાશે ગંભીર ગુનો
એસ.પી દ્વારા NHAIનાં પ્રોજેક્ટ ડિરેક્ટરને નોટિસ પાઠવીને કહેવામાં આવ્યું કે, કોઈ પણ કારણોસર જો નેશનલ હાઈવે ઓથોરિટીની નિષ્કાળજીને કારણે ફેટલ અકસ્માતનો ગંભીર ગુનો બનશે તો જવાબદાર અધિકારી વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ 304 મુજબનો ગુનો દાખલ કરવાની ફરજ પડશે.