ચોમાસામાં અમદાવાદની દશા બેઠી છે. સત્તાધીશો અને અધિકારીઓની અણઆવડતના કારણે શહેરીજનોને હેરાન થવાનું આવ્યું છે.
અમદાવાદમાં રોડ રસ્તા વરસાદમાં ધોવાયા
સ્માર્ટ સિટીના રસ્તા ખાડા ખાડા થઈ ગયા
લાભાં અને નારોલમાં ખાડેખાડા
અમદાવાદ શહેરના તમામ વિસ્તારોના માર્ગો તૂટેલી હાલતમાં પડયા છે. એસજી હાઈવે જેવા મહત્વપૂર્ણ રોડ પર પણ ઠેર ઠેર ખાડાઓ જોવા મળે છે. અમદાવાદના રોડ રસ્તા દર ચોમાસામાં બિસ્માર થતા હોય છે તેમાં કોઈ નવાઈ નથી કારણ કે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન માત્ર કાગળ પર પ્રિ મોન્સૂન પ્લાન બનાવતું હોય છે અને પ્રજાના ટેક્ષના પૈસા વરસાદમાં ધોવાઈ જાય છે.
અમદાવાદ સ્માર્ટ સિટી કહેવાય છે પણ તેવા રોડ રસ્તા આજ સુધી અમદાવાદીઓને જોવા મળ્યા નથી. દર વર્ષે ચોમાસામાં સ્માર્ટ સીટી અમદાવાદના રસ્તા ડિસ્કો રોડ બનાઈ જાય છે જેના કારણે સ્થાનિકોની હાલાકીનો પાર નથી રહેતો. લાંભા વિસ્તારમાંથી પસાર થવું સ્થાનિકો માટે એક ખતરા વાળી ચેલેન્જ સમાન છે. લાંભા પૂજા ફાર્મ પાસેનો રોડ પર ખાડા પડી જતા અહીં પાણી પણ ભરાય છે પરંતુ તંત્ર જોવાની પણ તસ્દી લઈ રહ્યું નથી.
6 મહિના પહેલા બનેલા રોડમાં ભ્રષ્ટાચારના ખાડા?
એવું નથી એ ઉપરોક્ત રોડ જૂનો છે એટલે આવી હાલત છે આપને જણાવી દઈએ કે પૂજા ફાર્મ થી શરણમ એપાર્ટમેન્ટ સુધીનો રોડ થોડા સમય પેહલા જ બનાવામાં આવ્યો હતો જે ડિફેકટ લાયબિલિટીમાં આવે છે તેમ છતાં રોડ તૂટી ગયો જેને લઇ રોડ ની ગુણવત્તા અને કામગીરી પર સવાલ ઉભા થયા છે. રોડ બનાયા બાદ 6 મહિના પણ રોડ સારો ન રહ્યો ત્યારે કોન્ટ્રાકટર સામે અમદાવાદ કોર્પોરેશન ના અધિકારીઓ મૂંગાબેસી કોઈ હાનીની રાહ જોઈ રહ્યા છે.
નરોડા વિસ્તારમાં મોટાભાગના રસ્તા ખખડધજ
તો બીજી તરફ શહેરના નરોડા વિસ્તારમાં વાહનચાલકોએ મહાપરાણે જીવના જોખમે ધીમેધીમે માર્ગો પરથી પસાર થવાની ફરજ પડી રહી છે. એકેય માર્ગ એવો નથી કે જ્યાંથી વાહનચાલક સરળતાથી પસાર થઇ શકે. સામાન્ય વરસાદમાં જ પૂર્વના તમામ રોડ ધોવાઇ ગયા છે. તેમાંય નવાઇની વાત એ છે કે મ્યુનિ.તંત્ર શહેરીજનોની હાલાકીને મુકપ્રેક્ષક બની જોયા કરે છે પરંતુ તેમની હાલાકી દુર કરવા માટે તૂટેલા રોડનું માટી પુરાણકામ , ખાડા પુરવા, રોડ પરથી કાદવ-કિચડના થર દુર કરવા જેવી પ્રાથમિક રાહત આપનારી કામગીરી પણ કરવામાં આવી રહી નથી. નવું વાહન છોડાવ્યું હોય તો આ ચોમાસામાં ખખડી જાય તેવી હાલત રોડની થઇ ગઇ છે. રોડ પર ખાડાઓના કારણે વાહન અકસ્માતના બનાવો પણ વધ્યા છે. ખાડાઓમાં વાહનનું સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું છે. પૂર્વ અમદાવાદના રોડની આ દશા જોઇને વાલીઓ તેમના બાળકોને સાઇકલ કે ટુ વ્હિલર લઇને સ્કૂલ કે ટયુશન મોકલતા પણ ડર અનુભવે છે.
વાહનો સ્લીપ થવાની ઘટનામાં વધારો
નરોડા વિસ્તારની વ્યાસ વળી પાસે રોડની હાલત ખુબજ બિસમાર હાલતમાં જોવા મળી રહી છે.. આંતરિક રોડની તો વાત શું કરવી, ત્યાં ‘રોડ હતા, ન હતા ‘થઇ ગયા છે! મસમોટા ખાડા, ઉપસેલા મેન્ટલના પથ્થર, કાદવ-કિચડ અને તેમાંય વળી વરસાદી પાણી ભરાયેલું પડયું હોવાથી આવા રોડ પરથી પસાર થવું અત્યંત જોખમી બની રહ્યું છે. વાહન સ્લીપ થવું, કાદવ-કિચડના છાંટા ઉડવા, ખાડામાં વાહન પટકાતા હાથના કાંડા અને કમર ભાગે ઇજાઓ થવાનું જોખમ વધી ગયું છે. શહેરીજનો માટે ઓફિસ, નોકરી-ધંધે કે સામાજિક કારણોસર ઘરની બહાર નીકળવાનું થાય તો તેઓએ એક છેડેથી બીજા છેડે જવા માટે સાત કોઠા પાર કરવા પડતા હોય તેવી અપાર હાલાકીઓ વેઠવી પડી રહી છે. અધુરામાં પૂરું ઉભરાતી ગટરોએ, લીકેજ પાણીની લાઇનો ભરાયેલા વરસાદી પાણીથી સમસ્યામાં વધારો કરી રહ્યા છે.
નથી અધિકારીઓ ડોકાતા કે નથી કોર્પોરેટર
સ્થાનિક સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે જેતે વોર્ડના અધિકારીઓ અને કોર્પોરેટરો હોવા છતાંય પ્રજાને પડી રહેલી આ તકલીફ દુર થઇ રહી નથી. ગ્રાઉન્ડ રિયાલીટી ચેક કરીને લોકોને પડી રહેલી હાલાકી કેમ કરીને દુર કરવી તેવા આયોજન કરવાનો સમય નથી. ફક્ત એ.સી.કેબિનોમાં બેસી રહે છે. આવી જ માનસિકતા કોર્પોરેટરોની પણ છે. ચૂંટણી પહેલા હાથ જોડીને ઘરે ઘરે જઇને વોટ માંગતા ઉમેદવારો ચૂંટાયા બાદ કોર્પોરેટર બનતા જ ‘રાજા ‘ બની જાય છે. રાજાશાહી ઠાઠમાં મસ્ત રહેતા તેઓને પ્રજા વચ્ચે જવું ગમતું નથી, તેમની સમસ્યાઓ સાંભળવી કે ઉકેલવામાં રસ રાખતા નથી તેવી ફરિયાદો શહેરીજનો કરી રહ્યા છે. ફક્ત સરકારી ઉદઘાટનો, જાહેર સન્માનના કાર્યક્રમોમાં માન-સન્માન મેળવવા પુરતા જ દેખાતા હોય છે.
નરોડા ગામથી દહેગામ જવા માટેના આ રોડ પર વ્યાસ વાડીથી 1 કિલોમીટરના અંતર સુધીના રોડ પર માત્ર કપચી અને કાંકરા જ જોવા મળે છે. રોડ પર ડામર નામની વસ્તુ પણ જોવા મળતી નથી.છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી પરંતુ કોઈ પરિણામ મળતું નથી.