ગુજરાતમાં વરસાદની એન્ટ્રી સાથે તંત્રની પોલ ખુલી ગઈ છે, શહેરોના રસ્તાઓની સાથે નેશનલ હાઈવેના પણ રોડ ધોવાયા છે, જામનગરમાં સિદસરમાં ઉમિયાધામ જવાનો રસ્તો ગાયબ
ગુજરાતમાં વરસાદની એન્ટ્રીની સાથે રસ્તાઓ ધોવાયા
શહેરોના માર્ગ સહિત નેશનલ હાઈવેના સુપરટ્રેક ધોવાયા
કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સુપરટ્રેકની પોલ ખુલી
ગુજરાતમાં વરસાની એન્ટ્રીની સાથે તંત્રની પોલ ખુલી ગઈ છે. માત્ર શહેરોના નહીં પરંતુ નેશનલ હાઈવેના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે બિસ્માર થયો છે. સિઝનના સામાન્ય વરસાદમાં જ રોડ ઉબડખાબડ થઈ ગયો છે. તો પ્રાચીતીર્થથી વેરાવળ વચ્ચેનો રસ્તો પણ તૂટ્યો છે. છેલ્લા 4 વર્ષથી ફોર ટ્રેકનું કામ ગોકળગતિએ ચાલુ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. જેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
જામનગરના સિદસર પાસેનો રોડ ગાયબ
જામનગર જિલ્લાના સીદસર પાસેનો રોડ 3 જ મહિનામાં ગાયબ થઈ ગયો છે. 80 લાખના ખર્ચે 3 મહિના પહેલા બનેલો રોડની પોલ એક જ વરસાદે ખોલી દીધી છે. ઉમિયાધામ સીદસર જવાનું એકમાત્ર ડાયવર્ઝન ગાયબ થઈ જતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી ભ્રષ્ટ કામગીરીનો નમૂનો જોવા મળી રહ્યો છે.
જામજોધપુર જતાં લોકોએ પાનેલીથી ધ્રાફા સુધીનો ધક્કો ખાવો પડી રહ્યો છે. આ સાથે સીદસર ગામ પાસે વેણુ નદી પરનો ડાયવર્ઝન ધોવાયો છે. કારણ કે, ઉમિયા સાગર ડેમ ઓવર ફલો થતા વેણુ નદીમાં પાણી છોડાયું હતું. થોડા સમય અગાઉ 65 લાખ રૂપિયાના ખર્ચે કામ ચલાઉ ડાયવર્ઝન બનાવાયો હતો. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર વાલાસન ધ્રાફા બાજુથી ચાલુ કરાયો. ડાયવર્ઝનના કામને લઈને અગાઉ રજૂઆત પણ કરાઈ હતી. સરકારી તંત્રએ ધ્યાન ન આપતા પ્રજાના રૂપિયા પાણી થઈ ગયા છે. સીદસર ગ્રામપંચાયત દ્વારા પર પત્ર લખી રજૂઆત કરાઈ હતી.
અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના વોર્ડનો રસ્તો પણ ધોવાયો
અમદાવાદમાં વરસાદે નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઇ ગયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના વોર્ડમાં પણ રસ્તા ધોવાઇ ગયા છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રસ્તો ધોવાયો છે. ઝાયડસ હોસ્પિટલથી થલતેજ જતો રસ્તો ધોવાયો છે. તેમજ રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડેલા જોવા મળી રહ્યાં છે.
ડીસાના હાર્દ સમા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી 25 લાખ રૂપિયાનો ડામર રોડ ધોવાયો
બનાસકાંઠાના વેપારીમથક ડીસા શહેરમાં ત્રણ મહિના પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રોડ સામાન્ય વરસાદમાં જ ઉખડી ગયો હોવાની ઘટના સામે આવી છે. નવીન બનેલા મુખ્ય માર્ગનો ડામર ઉખડી જતા કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે. મુખ્ય માર્ગનો ડામર સામાન્ય વરસાદમાં ઉખડી જતા વાહનચાલકો અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડીસાના હાર્દ સમા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી 25 લાખ રૂપિયાના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવ્યો છે. જો કે આ રોડ બની રહ્યો હતો તે સમયે હલકી ગુણવત્તાવાળું કામ થતું હોવાનું નગરસેવક અને જાગૃત લોકોએ ફરિયાદ કરી હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશોએ આ બાબતે આંખ આડા કાન કર્યા હતા. નગરપાલિકાના જનરલ બોર્ડમાં પણ પાલિકાના જ સભ્યોએ આ રોડના કામમાં ગેરરીતિ મામલે સવાલ ઉઠાવ્યા હતાં. તેમ છતાં પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા સત્તાધીશોએ ફરિયાદને ધ્યાને ન લેતા અંતે સામાન્ય વરસાદમાં જ આ રોડનો ડામર ઉઠી ગયો છે.
રાજકોટઃ 3 મહિના અગાઉ બનેલું ગરનાળુ પણ ધોવાયું
રાજકોટમાં ગૌવરીદળ પાસે 3 મહિના પહેલા બનેલું નાળુ પણ વરસાદી પાણીમાં ધોવાયું. ગૌવરીદળથી રતનપર, જારીયા, ખોરાણા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. રસ્તો ધોવાતા લોકો એક ગામથી બીજા ગામ લાંબુ અંતર કાપીને જઈ રહ્યા છે.