બહાલ અર્થવ્યવસ્થા બાદ પાકિસ્તાન પર વધુ એકવાર સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે, ત્યારે પાકિસ્તાનના ચાર રાજ્યોમાં તીડે એટલો હાહાકાર મચાવ્યો છે સામાન્ય લોકોથી લઇને સરકાર પણ પરેશાન થઇ ગયેલ છે. ત્યારે આ તીડે પાકિસ્તાનની સરહદથી રાજસ્થાન અને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. જેને લઇને ખેડૂતો અને સરકાર સક્રિય થઇ ગઇ છે.
તીડના અતિક્રમણ અંગે કૃષિમંત્રી આર.સી. ફળદુએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતમાં પાકિસ્તાનની સરહદથી તીડે પ્રવેશ કર્યો છે. કોંગ્રેસના આક્ષેપો ખોટા છે, 15 ગામો નહીં વાસ્તવમાં ૭ ગામો જ ગુજરાતમાં તીડથી પ્રભાવિત છે. કુલ 15 સ્પોટ પર તીડનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કુલ મળીને 6 ટીમો બનાવવામાં આવી છે.
તીડની 10 હજાર કરતા વધારેની સંખ્યા થઇ જાય તો...
વધુમાં કૃષિમંત્રીએ કહ્યું હતું કે અમે ખાતરી આપીએ છીએ કે તીડથી ગભરાવાની કોઇ જરૂર નથી. જેમ જેમ તીડ આવી રહ્યા છે તેમ તેમ તીડનો નાશ કરવામાં આવી રહ્યો છે. કુલ 449 કિલો દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જરૂર પડે તીડ અતિક્રમણને અટકાવવા વધારે ટીમો મોકલવામાં આવશે. 10 હજાર કરતા વધારેની સંખ્યા થઇ જાય તો તેનો નાશ મુશ્કેલ બને છે.
પાકિસ્તાનથી આવેલા તીડથી ખેડૂતોમાં દહેશત
પાકિસ્તાનથી આવેલા તીડથી બનાસકાંઠાના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વાવના અસારી સમલી ગામમાં તીડ નિયંત્રણ વિભાગે થોડા દિવસ અગાઉ દવાનો છંટકાવ પણ કર્યો હતો. 400 હેક્ટર જેટલી જગ્યામાં તીડનાશક દવાનો છંટકાવ કરાયો હતો. રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. વરસાદ ખેંચાતા વધુ તીડ આક્રમણ કરે તેવી સંભાવના છે.
ત્યારે હવે બનાસકાંઠામાં વરસાદ થાય તો તીડનો ખતરો ટળી શકે છે. જોકે તીડ પર કાબૂ મેળવવા માટે ગુજરાત સરકારે ખેતીવાડીની બે ટીમ બનાસકાંઠા મોકલી હતી. જે અધિકારીઓએ દવાનો છંટકાવ કર્યો હતો.
પ્રવેશબંધીના પોસ્ટર પણ લગાવી દીધા
જે અધિકારીઓએ દવાનો છંટકાવ કર્યો છે. આ દવા વધુ ઝેરી હોવાથી અધિકારીઓ દ્વારા જે-તે જગ્યાએ પ્રવેશબંધીના પોસ્ટર પણ લગાવી દીધા છે. તો તીડ સામે ખેતીવાડીની ટીમ પણ નાકામ થઇ શકે છે કારણ કે, ખેતીવાડીની એક ટુકડી વધુમા વધુ 25 વીઘામાં દવાનો છંટકાવ કરી શકે છે. જ્યારે પાકિસ્તાનથી આવેલા તીડ લાખો એકરમાં ખરીફ પાકને નુકસાન પહોંચાડી રહ્યું છે.
પાકિસ્તાન પર ઘેરાયા સંકટના વાદળ, ભારત પર પણ ખતરો
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સરકારે તીડની વધતી સંખ્યાને કાબૂ કરવા માટે હવાઇ જહાજથી એન્ટી તીડ સ્પ્રે કર્યુ છે. ત્યાં સુધી કે પાકિસ્તાન સરકારે મીરપુર જિલ્લાના એરપોર્ટ પર અનેક જહાજ પણ તેના માટે તૈનાત કર્યા છે. આ સમસ્યાને લઇને પાકિસ્તાનના મુનાબાવમાં થોડા દિવસ અગાઉ ભારત-પાકિસ્તાનના તીડ નિયંત્રણ સંગઠનના અધિકારીઓ વચ્ચે 4 કલાક સુધી વાતચીત પણ ચાલી હતી.
આપને જણાવી દઇએ કે, 1993 બાદ તીડના ટોળાઓનો આ સૌથી મોટો હુમલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, એવી પણ શક્યતા છે કે બંને દેશો સંયુક્ત રીતે આ મુશ્કેલીનો સામનો કરશે. ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે મુનાબાવમાં આશરે ચાર કલાક ચાલેલી આ બેઠકમાં વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.