લાલ કિલ્લા પર રાષ્ટ્રધવજના અપમાન મામલે પીએમ મોદીએ મન કી બાતમાં મોટું નિવેદન આપ્યું છે ત્યારે રાકેશ ટીકૈતે આ મામલે પીએમ મોદી પર પલટવાર કર્યો છે.
ટિકૈતનો PM મોદી પર પલટવાર
''જેને તિરંગાનું અપમાન કર્યું તેને પકડો''
''આખો દેશ તિરંગાને પ્રેમ કરે છે''
તિરંગાના અપમાનને લઇ PM મોદીના નિવેદન પર ટિકૈતનો પલટવાર
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું છે કે લાલ કિલ્લા પર તિરંગાના અપમાનથી દેશ ખૂબ દુખી થયો છે. ત્યારે ખેડૂત અગ્રણીએ પીએમ મોદીને જવાબ આપતા કહ્યું કે શું તિરંગો ખાલી પીએમનો જ છે? રાકેશ ટીકૈતે કહ્યું કે આખો દેશ તિરંગાથી પ્રેમ કરે છે, જેણે પણ રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હોય તેને પકડવામાં આવે. આ સિવાય તેમણે સરકાર સાથે વાતચીત મુદ્દે કહ્યું કે બંદૂકના નાળચા પર વાતચીત ન થઈ શકે. તેમણે કહ્યું કે અમે ક્યારેય તિરંગાનું અપમાન થવા નહીં દઈએ, હંમેશા તેણે ઊંચો જ રાખીશું. 26 જાન્યુઆરીએ જે કઈ પણ થયું તે એક કાવતરું હતું.
દિલ્હી હિંસા પર નિવેદન
પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં 26મી જાન્યુઆરીના રોજ તિરંગાનું અપમાન જોઈને દેશ ખૂબ દુખી થયો. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનું છે. ગત વર્ષમાં આપણે અસાધારણ ધીરજ અને સાહસનો પરિચય આપ્યો છે. આ વર્ષમાં પણ મહેનત કરીને પોતાના સંકલ્પોને સિદ્ધ કરવાના છે.
પીએમ મોદીએ કહ્યું કે હું જ્યારે મન કી બાત કરું છું ત્યારે એવું લાગે છે કે તમારી વચ્ચે જ, તમારા પરિવારના સદસ્યના રૂપમાં છું. આ મહિનામાં ક્રિકેટની પિચ પર ખૂબ સારા સમાચાર મળ્યા. ક્રિકેટ ટીમે શરૂઆતમાં મુશ્કેલી બાદ પણ શાનદાર જીત હાંસલ કરી. આપણાં ખેલાડીઓની મહેનત અને ટીમવર્ક પ્રેરણા આપનાર છે.
રાકેશ ટીકૈતે કહ્યું કે અમે દેશના વડાપ્રધાનનું સન્માન કરી છે અને આ મુદ્દાનું સમાધાન આવે તે અમારી ઈચ્છા છે. પરંતુ બંદૂકના દમ પર વાતચીત નહીં થાય. અમે વાતચીત કરીશું પરંતુ સરકાર શરતો મૂકીને વાતચીત ન કરે.
વાતચીત પર બંને પક્ષ રાજી
સંયુક્ત કિસાન મોરચાએ શનિવારે કહ્યું છે કે કેન્દ્ર સરકાર સાથે વાતચીતના દરવાજા ખુલ્લા જ છે અને તે બંધ થવાનો તો સવાલ જ ઊભો થતો નથી. પીએમ મોદીએ બજેટ સત્ર પહેલાની બેઠકમાં એલાન કર્યું હતું કે ખેડૂતો સાથે વાતચીતના દરવાજા ખુલ્લા છે અને સરકાર પોતાના પ્રસ્તાવ પર હજુ અડગ છે. જે બાદ ખેડૂત સંગઠનો દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતો કાયદા સંપૂર્ણ રદ થાય તેની માંગ કરે છે. ખેડૂત સંગઠનોએ કહ્યું કે સંયુક્ત કિસાન મોરચાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર ધ્યાન આપ્યું છે અને ખેડૂતો ચૂંટેલી સરકારના દરવાજા પર આવીને ઊભી છે ત્યારે સવાલ જ ઊભો થતો નથી કે વાતચીતના દરવાજા બંધ કરવામાં આવે.
પ્રધાનમંત્રી મોદીએ સર્વપક્ષીય બેઠકમાં શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને જે કંઈ કહ્યું તે હું દોહરાવવા માગુ છું. ખેડૂતો અને સરકાર વચ્ચે કોઈ સર્વસંમતિ સધાઈ શકી નથી તેમ છતાં અમે ખેડૂતોને ઓફર કરી રહ્યાં છીએ અને તમે આ અંગે ચિંતન મનન કરી શકો છો. તોમરે ખેડૂતોને કહ્યું હતું કે તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે તેમને ફોન કરી શકે છે. પીએમએ કહ્યું કે, સરકાર વાતચીત દરમિયાન જે રજૂઆત કરી હતી, હજુ પણ તેના પર કાયમ છે. મોદીએ કહ્યું હતું કે સરકારની દરખાસ્ત તો યથાવત જ છે. કૃપા કરીને સરકારની દરખાસ્ત અંગે તમારા ટેકેદારને જણાવો. સંવાદ દ્વારા સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ. આપણે સૌથી પહેલા તો રાષ્ટ્ર વિશે વિચારવું પડશે. વડાપ્રધાન તમામ રાજકીય પક્ષોને ખેડૂતો સાથે વાતચીત કરવાની પણ અપીલ કરી.
ખેડૂતોએ ગાજીપુર ગજવ્યું
ગાજીપુર બોર્ડર પર ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને બે મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા આંદોલનમાં હવે નવા વળાંક જોવા મળી રહ્યા છે. પહેલા ખેડૂતોની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો પરંતુ રાકેશ ટીકૈત આ આંદોલનમાં ગેમચેન્જર સાબિત થયા છે અને તેમના આહવાહન પર ઘણાબધા લોકો બોર્ડર પર પહોંચી રહ્યા છે ત્યારે હવે દિલ્હી-ગાજીપુર બોર્ડર પર દૂર દૂર સુધી ટ્રેક્ટર દેખાઈ રહ્યા છે.
કિલ્લામાં ફેરવાઇ ગાજીપુર બોર્ડર
ખેડૂતોની સતત વધતી સંખ્યાને જોતાં પોલીસે રાતોરાત 12 લેયરની બેરિકેડિંગ કરી દીધી છે. જેથી ખેડૂતો હવે દિલ્હી તરફ આગળ ન વધી શકે. આ બેરિકેડિંગ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી છે કારણ કે પોલીસને આશંકા છે કે બજેટ સત્ર દરમિયાન ખેડૂતો ફરીવાર દિલ્હી તરફ આગળ વધી શકે છે. પરિસ્થિતિને જોતાં 12 લેયરની બેરિકેડિંગ કરવામાં આવી છે.