નવરાત્રીમાં ગરબાની રમઝટ જામી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે, જેને લઈ ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
ખેલૈયાઓની નવરાત્રી બગાડશે વરસાદ
છેલ્લા વરસાદથી પૂરી થશે વરસાદની ઘટ
રાજ્યમાં એક તરફ નવરાત્રી પર્વની ઉજવણી ચાલી રહી છે જેમાં ખેલૈયાએ ગરબામાં રમઝટ બોલાવી રહ્યા છે. એવામાં વરસાદી વિઘ્ન ગરબાની મજા બગાડે તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને ફરી આગાહી કરવામાં આવતા ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સિઝનનો મોટા ભાગનો વરસાદ ખાબકી ચુક્યો છે જો કે હાલ કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી થઈ જેથી વરસાદ પડવાની સંભાવનાઓ સેવી શકાય પરતું અગાઉ રાજ્યમાં ખાબકેલા વરસાદ બાદ વાતાવરણમાં હજુ પણ ભેજ જોવા મળી રહ્યો છે જેની અસરને કારણે નવરાત્રીમાં પણ વરસાદ પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ખેલૈયાઓની નવરાત્રી બગાડશે વરસાદ
અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં પણ 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 96 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેમાં થોડા ઘણા અંશે જ વરસાદની ઘટ જોવા મળી રહી છે એવામાં જો હવામાન વિભાગની આગાહી સાચી પડે તો બાકી રહેલી ઘટ પણ પૂરી થવાની સંભાવના સેવવામાં આવી રહી છે.
વરસાદની આગાહીને પગલે ખેલૈયાઓ ચિંતામાં મુકાયા
જો કે આ વખતે નવરાત્રીમાં મોટા આયોજકોને મંજૂરી મળી નથી પરતું રાજ્યાં નાના ગરબા આયોજકો અને શેરી ગરબામાં ખેલૈયાઓ ધામધૂમ પૂર્વક નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ત્રીજા નોરતે મેઘરાજાએ શનિવારે બપોરે ધમાકેદાર અન્ટ્રી મારી જે બાદ અડધો કલાકમાં 2.5 ઇંચ વરસાદથી શહેરને પાણી પાણી કરી દીધું હતું. વલસાડ ઉપરાંત કપરાડા તાલુકામાં પણ શનિવારે દિવસ દરમિયાન એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં ભારે હળવા ઝાપટાં જારી રહ્યા હતા. ભરૂચમાં સવા ઇંચ અને અંકલેશ્વરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
આ શહેરોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી
વલસાહ શહેરના તિથલ રોડ, અબ્રામા, મોગરાવાડી સહિતના વિસ્તારો ઉપરાંત રાજ્યભરમાં હાલ સોસાઈટીઓના કોમન પ્લોટમાં ગરબાનું આયોજન કરાયું છે, પરંતુ શનિવારે મૂશળધાર વરસાદથી ગરબાના સ્થળો પણ પાણીથી તરબોળ થયા હતા. જો કે પાણી ઉતરી ગયા હતા અને જમીન ભીની અને કાદવ સર્જાતાં ગરબાના ખેલૈયાઓનો ઉત્સાહમાં ઓટ આવી હોય તેવી લાગણી વ્યકત કરાઇ રહી.
ચોમાસાને વિદાય લેવાની તૈયારીમાં
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, મેહસાણા સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, ઉલ્લેખનિય છે ભાદરવો ભરપૂર વરસ્યા બાદ ચોમાસાને વિદાય લેવાની ગમતી ન હોય તેમ આસોમાં પણ મેઘરાજા મેઘમહેર વરસાદવવા તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. શનિવારે પણ ગોંડલામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેથી રોડ રસ્તા પર પાણી જોવા મળ્યા હતા.
છેલ્લા વરસાદથી રાજ્યમાં વરસાદની ઘટ પૂરી થશે
મહત્વનું છે કે રાજ્યમાં પડેલા સારા વરસાદથી અનેક ચેકડેમ, નદીમાં નવા નીર આવ્યા છે એક સમયે ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો હતો તે દૂર થયો છે સાથે જ ગુજરાતમાં જે જળસંકટના ભણકારા લાગી રહ્યા હતા તે દૂર થતા ગુજરાત પરથી પાણીની તંગીનો પ્રશ્ન હલ થયો છે. જો કે હજુ પણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે બાકી રહેલી વરસાદની ઘટ પણ પૂરી થાય તેવું લાગી રહ્યું છે.