કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે 'લઘુતમ શાસન, મહત્તમ ખાનગીકરણ' આ સરકારની વિચારસરણી છે. એક સમાચારની ટ્વીટ પર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, 'મોદી સરકારની વિચારસરણી - ન્યૂનતમ શાસન, મહત્તમ ખાનગીકરણ.'
મોદી સરકાર માટે કોવિડ તો બહાનું છે
રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર
આ સાથે જ કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે, કોવિડ તો એક બહાનું છે. સરકારી ઓફિસોને સ્થાયી સ્ટાફ મુક્ત બનાવવી છે. યુવાનોનું ભવિષ્ય ચોરી લેવું છે. મિત્રોને આગળ ધપાવવા છે. રાહુલે જે ખબર ટ્વીટ કરી તે પ્રમાણે, કોરોના સંકટને જોતા સરકારે નવી સરકારી નોકરી પર પાબંધી લાદી છે.
ભાજપે નોકરી છીનવી લીધી હોવાનો કોંગ્રેસે કર્યો દાવો
ઉલ્લેખનીય છે કે, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી. શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે છેલ્લા છ વર્ષમાં 14 કરોડ નોકરીઓ છીનવી લીધી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રની ભાજપ સરકાર અને મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની સરકારે યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે. શ્રીનિવાસે કહ્યું કે વડા પ્રધાન મોદીએ દર વર્ષે બે કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું, આ પ્રમાણે છ વર્ષમાં 12 કરોડ રોજગાર આપવો પડ્યો. પરંતુ મોદી સરકારે 14 કરોડ નોકરીઓ છીનવી લીધી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય યુવા કોંગ્રેસ દેશનું સૌથી મોટું સંગઠન છે. દેશની જીડીપી 23.7 ઘટી છે અને દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણ તેને એક્ટ ઓફ ગોડ કઇ રહ્યા છે એટલે કે, ભગવાને આવું કર્યું હોવાની વાત કરી રહ્યા છે. શ્રીનિવાસે કહ્યું કે, રોજગાર આપો, અભિયાન ચલાવીને યુવા કોંગ્રેસ આવનારા સમયમાં સિગ્નેચર કેમ્પેઇન, મિસ કોલ, પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રીનો ઘેરાવો કરીને રોજગારની માગણી કરશે. તેમ છતાં જો રોજગારી નહીં મળે તો સંપૂર્ણ મંત્રી મંડળનો ઘેરાવો કરશે. આ રીતે અમે ભાજપ સરકારને રોજગાર દો અભિયાન દ્વારા ઘેરવાનું કામ કરીશું.
રણદીપ સુરજેવાલાનું નિવેદન
આ સાથે જ પક્ષના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (આઈએલઓ) ના તાજેતરના અહેવાલને ટાંકીને દાવો કર્યો છે કે દેશના 40 કરોડ લોકોને ગરીબીના ખાડામાં ધકેલી રહ્યા છે અને આ સરકાર 'ગરીબ વિરોધી' છે.