અમરિન્દરસિંહે કહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ બળજબરીપૂર્વક પંજાબ સરકાર અને પંજાબની રાજનીતિમાં દખલ કરવાની જરૂર નથી.
પંજાબ કોંગ્રેસ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
હવે હાઇકમાન્ડની સામે જ પડ્યા કેપ્ટન
સિદ્ધુના કારણે પંજાબમાં હવે નવાજૂની થાય તેવા એંધાણ
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને નારાજગી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ બળજબરીપૂર્વક પંજાબ સરકાર અને પંજાબની રાજનીતિમાં દખલ કરવાની જરૂર નાથ. હાઇકમાન્ડે સમજવાની જરૂર છે કે પંજાબની પરિસ્થિતિ અત્યારે અનુકૂળ નથી અને આવું કરવાથી પાર્ટી અને સરકાર બંનેને નુકસાન થઈ રહ્યું છે.
શું છે આખો વિવાદ
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી પંજાબમાં સીએમ અમરિન્દર સિંહ અને પાર્ટીના નેતા નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. બંને વચ્ચે ચાલી રહેલા જઘડા વચ્ચે પાર્ટી વારંવાર બેઠક પર બેઠક કરી રહી છે. નવજોત સિંહ સિદ્ધુ ઘણીવાર દિલ્હીમાં આવીને ગાંધીપરિવાર સાથે મુલાકાતો કરીને ગયા છે. એક મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવવાનો નામ નથી લઈ રહ્યો એવામાં અમરિન્દર સિંહે પત્ર લખીને કોંગ્રેસમાં ભડકાને જન્મ આપ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.
એક કલાક સુધી ચાલી સોનિયા ગાંધી અને સિદ્ધૂની બેઠક
આ પહેલા એવું લાગી રહ્યું હતું કે આટલા વિવાદો છતાં પંજાબમાં કોંગ્રેસની કમાન સિદ્ધુને જ આપી દેવામાં આવશે. જે વાતથી કેપ્ટન નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ આજે જ સિદ્ધુએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જોકે તે બાદ હરીશ રાવતે કહ્યું હતું કે પંજાબમાં શું નિર્ણય લેવાયો છે એ હજુ સુધી ફાઇનલ નથી.
નવજોત સિંહ સિદ્ધુ અને તેમના સમર્થકો માની રહ્યા છે કે સિદ્ધુને જ ટૂંક સમયમાં મોટી જવાબદારી આપવામાં આવશે. જોકે રાજકારણને લઈને હાઇકમાન્ડ સામે જ હવે પંજાબના કેપ્ટન પડ્યા છે.