પ્રમુખસ્વામી મહારાજના કલામંડિત મંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં સારંગપુરમાં વસંતપંચમીએ, તા. 26જાન્યુઆરીના રોજ હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં કર્યો હતો
પ્રમુખ સ્વામીજીનું સારંગપુરમાં સ્મૃતિ મંદિર તૈયાર
મંદિરની મધ્યમાં આરસ નિર્મિત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ છે
સ્મૃતિ મંદિરની 140 ફૂટ લંબાઇ, 63 ફૂટ ઊંચાઈ છે.
પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરનો શિલાન્યાસ 17 ડિસેમ્બર 2018માં મહંતસ્વામી મહારાજે કર્યો હતો. આ પછી સંતો અને હરિભક્તોની મહેનતથી ચાર વર્ષમાં સ્મૃતિમંદિર બનીને તૈયાર થયું છે. નાગરાદિ સ્થાપત્યશૈલી ધરાવતા આ મંદિરની લંબાઈ 140 ફૂટ, પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 63 ફૂટ છે, જેમાં 7,839 પથ્થરોના સંયોજનથી 1 ઘુમ્મટ, 4 સામરણ અને 16 ઘુમ્મટીઓ આવેલી છે.
આ મંદિરના મધ્યમાં આરસ નિર્મિત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ છે
આ સ્મૃતિ મંદિરના કલામંડિત સ્તંભ, ઘુમ્મટ વગેરે ભગવાન સ્વામિનારાયણ તથા પ્રમુખસ્વામી મહારાજના સમકાલીન સંતો-ભક્તોની શિલ્પાકૃતિઓથી અલંકૃત છે. પોતાના પ્રાણપ્યારા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આ કલામંડિત મંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં સારંગપુર ખાતે વસંતપંચમીએ, તા.26/01/2023ના રોજ હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં કર્યો હતો. આ મંદિરના મધ્યમાં આરસ નિર્મિત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે બિરાજમાન કરવામાં આવી છે. સવારે 9:30 વાગ્યે સદગુરુવર્ય સંત પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી અને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક મહાપૂજા વિધિ સંપન્ન થયો હતો.
સ્મૃતિમંદિર પણ જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દૃઢ કરવાનો સંદેશ વહાવે છે
આ વૈદિક મહાપૂજાના સહભાગી થવા માટે સમગ્ર વિશ્ર્વમાંથી હજારો હરિભક્તો પધાર્યા હતા. ત્યારબાદ 11:45 વાગે પ. પૂ. મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સ્મૃતિમંદિરનો મુખ્ય પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયો હતો. આજના દિવસે સંસ્થા દ્વારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ જીવનગાથા નામનું નૂતન ઓડિયો પ્રકાશન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્યથી લઈને મહંતસ્વામી મહારાજ દ્વારા તેઓનું પ્રાગટ્ય સુધીની તેઓની જીવનગાથાને સંસ્થાના સંગીતજ્ઞ સંતોએ કાવ્યપંક્તિઓ દ્વારા ખૂબ સુંદર સંગીતમય રીતે ગૂંથી રજૂ કરવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજ પોતાના મુખ્ય કાર્ય તરીકે ભગવાન ભજવા અને ભજાવવા ને ગણાવતા. તેથી તેઓનું આ સ્મૃતિમંદિર પણ જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દૃઢ કરવાનો સંદેશ વહાવે છે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનંત ઉપકારોની સ્મૃતિ સાથે તેમના ચરણે ભાવાંજલિ અર્પણ કરતું આ સ્મૃતિસ્થાન આવનારા દિવસોમાં અસંખ્ય લોકો માટે શ્રદ્ધા અને ગુરુભક્તિનું અનોખું કેન્દ્ર બની રહેશે.