156 આવાસમાંથી 40 આવાસના લાભાર્થીના નામ બદલ્યા, સમગ્ર કૌભાંડ બહાર આવતા ફરિયાદી અને આરોપી એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે.
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ
કૌભાંડી અધિકારીઓ સામે ફરિયાદ
લાભાર્થીઓના નામ બતાવ્યા હતા અલગ
સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ પાલિકા કાર્યપાલક ઇજનેર અને એક્સપર્ટ સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી . જે બાદ કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને એક્સપર્ટ નિશિથ પીઠવા સામે ફરિયાદ નોંધી સસ્પેન્ડ પણ કરી દેવાયા છે.
કેવી રીતે આચર્યું આવાસ યોજના કૌભાંડ?
ગરીબો માટે બનાવવામાં આવી રહેલા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન પ્રોજેક્ટમાં જ વડોદરાના અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરાતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે. સમગ્ર મામલો સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ ફરિયાદ કરતાં બહાર આવ્યો હતો.ફરિયાદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડ્રો થયેલા નામો બાદ લાભાર્થીને બદલાયા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર મામલે તપાસ થતાં મોટા પર્દાફાશ થયા છે. હાલ આરોપીની તપાસ ચાલી રહી છેઃ પણ પ્રાથમિક માહિતી અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના માટે થયેલા ડ્રોમાં ગોલમાલ કરવામાં આવી હતી. ડ્રોમાં ખુલેલા નામો ડ્રો થયા બાદ અધિકારી કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવા અને એક્સપર્ટ નિશિત પીઠવા દ્વારા બદલી નાખવાં આવ્યા હતા. 156 મકાનો માટે થયેલી ડ્રો માંથી 40 જેટલા મકાનોના લાભાર્થી બદલી મકાનો સગેવગે કરવામાં આવ્યા હતા. જે બાદ ડ્રો અને VMCની વેબસાઈટમાં લાભાર્થીઓના નામો અલગ બતાવાયા તપાસ થતાં વિગતો અને નામો અલગ અલગ દર્શાવાતા આરોપીનો ભાંડો ફૂટ્યો છે. સમગ્ર મામલે કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવા અને એક્સપર્ટ નિશિત પીઠવા સામે ફરિયાદ થઈ છે. પોલીસે બંને અધિકારીઓને પૂછપરછ માટે બોલાવયા છે તો સામે કૌભાંડમાં નામો બહાર આવતાની સાથે બંને અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે.
મેયર કેયુર રોકડિયાએ કાર્યવાહીના આપ્યા આદેશ
વડોદરાના મેયર કેયુર રોકડિયા પ્રધાનમંત્રી આવાસ કૌભાંડનો મામલે કડક થયા છે. સમગ્ર કૌભાંડનો મામલો બહાર આવતાની સામે જ મેયર એક્શનમાં આવી ગયા હતા અને કૌભાંડી અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ આપી દેવાયા છે. મેયરે વીટીવી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 156 મકાનનો ડ્રો થયો હતો, ડ્રો રન થયા બાદ લાભાર્થીઓના નામ બદલાયા ફરિયાદ હતી, 40 લાભાર્થીઓના નામ બદલાઈ ગયા હતા, કોઈ પણ પ્રકારની ગેરરીતિ વડોદરા મનપા દ્વારાઆ નહીં ચલાવી લેવાય જે અધિકારીના નામ આવશે તેની સામે કડક કાર્યવાહી થશે
આરોપી કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાના આરોપ
સમગ્ર મામલે ફરિયાદી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી અને આરોપી કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. આરોપી કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ આક્ષેપ કરતાં કહ્યું કે સીટી એન્જીનીયર શૈલેષ મિસ્ત્રી દ્વારા તેણે ફસાવામાં આવી રહ્યો છે. પોતાની કરતૂત ઉજાગર ન થાય માટે મને ફસાવ્યો હોવાનો તેમજ જે દિવસે આવાસના ડ્રો થયા તે દિવસે હાજર ન હોવાનો દાવો આરોપી દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમજ પોતાને મ્યુનિ કમિશનરને રજૂઆત કરવાનો મોકો ન મળ્યો હોવાની ફરિયાદ પણ આરોપી કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા દ્વારા કરવામાં આવી છે.