કોરોના વાયરસથી ઠીક થયા બાદ મોટાભાગના લોકોના શરીરમાં એન્ટીબોડી બની રહી છે. આ એન્ટીબોડી શરીરને ફરી વાયરસના સંપર્કમાં આવતા બચાવે છે. જોકે, આ ઈમ્યૂનિટી શરીરમાં ક્યાં સુધી રહે છે તેના પર સમગ્ર દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે, લોકો કોરોનાથી સાજા થયા બાદ ફરી તેનાથી સંક્રમિત થયા છે. કોરોનાથી ફરી સંક્રમિત થનારા લોકોમાં વૃદ્ધો અને એવા લોકો સામેલ છે જે લોકોએ બેદરાકરી કરી છે. જેમ કે, માસ્ક ન પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવાનો નિયમ ન માનવો. પણ આની સાથે જ કોરોનાથી સાજા થયેલાં લોકોએ અન્ય કેટલીક વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ.
નિયમિત વ્યાયામ કરો
કોરોના વાયરસથી સ્વસ્થ થવાની પ્રક્રિયામાં શરીર ખૂબ નબળું પડે છે. આવી સ્થિતિમાં, વ્યાયામ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે, પરંતુ ધીરે ધીરે તમે તેને તમારા નિત્યક્રમમાં શામેલ કરી શકો છો. નિયમિત વ્યાયામ કરવાથી તમે શારીરિક અને માનસિક રીતે ફિટ રહેશો.
પૌષ્ટિક આહાર
તમારા ખોરાકમાં બને તેટલી પોષક વસ્તુઓનો સમાવેશ કરો. આ તમારા આરોગ્યને ઝડપથી સુધારશે. કોરોના વાયરસને કારણે મોટાભાગના લોકો ખાવાની ઇચ્છા ગુમાવે છે, જેના કારણે વજન ખૂબ ઓછું થઈ જાય છે અને નબળાઈ આવી જાય છે. તમારા દૈનિક આહારમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, લીલા શાકભાજી અને ઇંડા શામેલ કરો. વધારે પ્રમાણમાં ન ખાવું. ધ્યાનમાં રાખો કે તમારું શરીર હજી રિકવર થઈ રહ્યું છે.
યાદશક્તિ વધારવાની એક્ટિવિટી કરો
કોરોના વાયરસ મેમરી કોષોને પણ નુકસાન પહોંચાડે છે. તમારી યાદશક્તિ વધારવા માટે પઝલ્સ અથવા અન્ય કોઈ ગેમ રમો જેમાં મગજનો વધુ ઉપયોગ થાય છે. એક સરળ ગેમથી શરૂ કરો અને ધીરે-ધીરે તેના લેવલમાં વધારો કરો.
ધીરે ધીરે આગળ વધો
કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ધીરે ધીરે રૂટિન લાઈફમાં આગળ વધો. કોરોનાને કારણે તમારી ઈમ્યૂનિટી નબળી થઈ ગઈ હોવાથી તમારી જાતને રિકવર થવા માટે સમય આપો.
સંકેતોને સમજો
જો તમને કોરોનાથી સાજા થયા બાદ પણ માથાનો દુખાવો અથવા થાક લાગે તો બેદરકારી કરવી નહીં, તરત જ તમારા ડોક્ટરને આ લક્ષણોની જાણ કરો.
બીજાની મદદ લો
તમારા સાજા થવાની પ્રક્રિયામાં અન્ય લોકોની મદદ લો. એ વાત સમજો કે અત્યારે તમારે વધુને વધુ આરામ કરવાની જરૂર છે. એવામાં જરૂર લાગે તો તરત જ પરિવાર અને મિત્રોની મદદ લો. જેથી તમને આરામ મળી શકે.