દેશમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે સાંસદોને ગુરુમંત્ર આપ્યા છે. ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, જો તમે બધા જનતા સાથે યોગ્ય રીતે જોડાયેલા રહેશો તો કોઈ એન્ટી ઈન્કમ્બન્સી નહીં રહે. PM મોદીએ કહ્યું કે, સાંસદોએ પોતપોતાના મતવિસ્તારમાં જવું જોઈએ અને જનતા સાથે જોડાયેલા રહેવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા પણ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ મોદીએ લોકસભા ચૂંટણી માટે કમર કસી લેવાનું કહ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં માત્ર 400 દિવસ બાકી છે. ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ અમૃતકાળનું બજેટ છે. આ બજેટ દરેક માટે છે, આ બજેટને જનતા સુધી લઈ જવુ જોઈએ.
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, વડાપ્રધાને ઘણા મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે. તેમણે કહ્યું કે, તેમને સંપૂર્ણ બજેટ અને વચગાળાના બજેટ સહિત 25 બજેટનો અનુભવ મળ્યો છે. ગરીબોને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું. તમામ ગરીબ અને મધ્યમ વર્ગને કંઈક ને કંઈક મળ્યું છે.