રાજનીતિમાં નેતાઓ ભલે એકબીજા પર ગમે તેવા હળહળતા આક્ષેપો કરતા હોય પરંતુ વાત જ્યારે બીમારીની આવે છે ત્યારે તેઓ અનેરો સ્નેહ દર્શાવતા હોય છે. આ વાતનું વધું એક ઉદાહરણ ગુરુવારે જોવા મળ્યું. પીએમ મોદી ચૂંટણી સભામાં વિપક્ષો પર વાર કરવાનું ચૂકતા નથી પરંતુ આ વખતે પીએમ મોદીએ ઉદ્ધવ ઠાકરે સાથે એક આત્મીય નાતો દર્શાવ્યો છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં જણાવાયું છે કે વડાપ્રધાન મોદીએ ઠાકરેની ફોન કરીને રશ્મીની તબિયત અંગે જાણકારી મેળવી હતી. તથા રશ્મી ઝડપથી સાજી થઈ જાય તેવી પણ પ્રાર્થના કરી હતી. પીએમ મોદીને જ્યારે જાણમાં આવ્યું કે રશ્મી ઠાકરેને નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે ત્યારે તેમણે પળનો પણ વિલંબ કર્યા વગર ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને રશ્મીની તબિયતની જાણકારી મેળવી હતી અને તેમના સાજા થવાની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીનો ફોન આવતા ઉદ્ધવ ઠાકરે પણ લાગણીશીલ બન્યા હતા.
છાતીમાં દુખાવા અને બેચેનીને કારણે સીએમ ઉદ્ધવની પત્ની રશ્મી ઠાકરેને એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 11 માર્ચે રશ્મીએ સરકારી જેજે હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી હતી. 23 માર્ચે રશ્મીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. તેમને એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમના થોડા મેડિકલ ટેસ્ટ કરાયા હતા.
શિવસેનાના સૂત્રોના જણાવ્યાનુસાર, રશ્મીની હાલત સુધારા પર છે અને તેમને આગામી થોડા દિવસોમાં રજા મળી શકે છે.