વીજબીલ ભરવાના નામે મોબાઇલમાં આવતા ફેક મેસેજને લઇને PGVCLના MDએ લોકોને સાવધાન રહેવા અપીલ કરી.
PGVCLના વીજબિલ મુદ્દે આવતા મેસેજથી સાવધાન
PGVCLના MDએ ફેક મેસેજથી દૂર રહેવા કરી અપીલ
ફ્રોડ મેસેજ આવે તો PGVCLનો સંપર્ક કરવા અપીલ
સાઇબર માફિયાઓ દ્વારા કેટલીય વખત મોબાઈલ પર કે સોશિયલ મીડિયા દ્વારા મેસેજ મોકલીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોય તેવાં અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વીજ કંપનીના નામે એક મેસેજ મોકલવામાં આવે છે અથવા તો કૉલ કરવામાં આવે છે કે, 'ડીઅર કસ્ટમર તમારું વીજ કનેક્શન બાકી છે તેથી તમારું વીજ કનેક્શન કટ થઇ જશે.' ત્યારે PGVCLના MDએ આવા મેસેજથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી છે.
ફ્રોડ મેસેજ આવે તો PGVCLનો સંપર્ક કરવા અપીલ
PGVCLના વીજબિલ મુદ્દે આવતા મેસેજને લઇને PGVCLના MDએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. લોકોને આવા મેસેજથી દૂર રહેવા તેઓ જણાવી રહ્યાં છે. કારણ કે છેલ્લાં કેટલાંય દિવસથી આ રીતે વીજ ગ્રાહકોને વોટસએપમાં આ પ્રકારના મેસેજ આવી રહ્યાં છે. જેમાં તમારું વીજબિલ બાકી છે આથી તમારું વીજ કનેકશન કટ થઇ જશે તેવાં મેસેજ લોકોને આવી રહ્યાં છે. આથી આવા ફ્રોડ મેસેજોથી સાવધાન રહેવા PGVCLના MDએ લોકોને અપીલ કરી છે. આવા મેસેજ જો આવે તો PGVCLનો સંપર્ક કરવા તેઓએ જણાવ્યું. કારણ કે સોશિયલ મીડિયા મારફતે ફ્રોડના તરકીબની શક્યતા આની અંદર વધારે રહેલી છે.
નોંધનીય છે કે, દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમના કેસ ખરેખર ચિંતાનું કારણ છે. જો કે સાયબર ક્રાઈમ બ્રાન્ચ આ કેસોમાં ઘણી મદદ કરે છે. પરંતુ કડક નિયમો અને કડક સજાની સાથે નાગરિકોમાં જાગૃતિ પણ હોવી જોઈએ જેથી કરીને તેઓ કોઈની જાળમાં ફસાઈ ન જાય અને પોતાના પૈસાની રક્ષા કરી શકે. હાલમાં જ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી સાયબર ક્રાઈમનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
ગાઝિયાબાદની રહેવાસી અંજલિ રાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિ વિદ્યુત વિભાગના અધિકારી તરીકે ઓળખાવતો હતો. આ વ્યક્તિએ પીડિતને વીજળીનું બિલ અપડેટ કરવાનું કહ્યું અને કહ્યું કે બિલમાં 30 રૂપિયાથી ઓછા છે. 30 રૂપિયા બચાવવાના ચક્કરમાં પીડિતા હેકરના ચક્કરમાં ફસાઈ ગઈ. આરોપીએ પીડિત અંજલિને Paytm નંબર પર 30 રૂપિયા મોકલવાનું કહ્યું અને પૈસા આવતા જ તેનો ફોન હેક કરી લીધો. આ પછી પીડિતને 97,000 રૂપિયા કાપવાનો મેસેજ આવ્યો, જેના પછી તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. ગાઝિયાબાદની રહેવાસી અંજલિ રાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને કેસ નોંધ્યો છે. આથી, સાયબર સેલની મદદથી આ સમગ્ર મામલાની હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
જુઓ સાયબર માફિયાઓ કઇ રીતે ગ્રાહકોને છેતરી રહ્યાં છે ?
સૌ પહેલા તો સાયબર માફિયાઓ ગ્રાહકોને ફોન કરે છે. બાદમાં ગ્રાહકને વીજબીલ પ્રોસેસ થવાનું બાકી છે તેમ કહેવામાં આવે છે. ગ્રાહકને એવું ઠસાવી દેવાય છે કે પેમેન્ટ ભલે કર્યું છે પરંતુ તે ઓનલાઈન બતાવતું નથી. ઠગબાજ ગ્રાહકને ટીમ વ્યુઅર એપ ડાઉનલોડ કરવાનું કહે છે. બાદમાં જો ગ્રાહક ટીમ વ્યુઅર એપ ડાઉનલોડ કરે છે તો તેના મોબાઈલનો કંટ્રોલ મળે છે. બાદમાં ગ્રાહકને ઓનલાઈન પેમેન્ટની ફરજ પાડવામાં આવે છે. ટીમ વ્યુઅરના પાસવર્ડથી ગ્રાહકની તમામ વિગતો ઠગબાજને મળી જાય છે. આમ, આ રીતે સંપૂર્ણ માસ્ટર પ્લાન ઘડાય છે કે જેના દ્વારા વીજ વપરાશકારોને વીજળીથી પણ તીવ્ર ઝટકો મળે છે.
સાવચેત રહેવા જુઓ સાયબર એક્સપર્ટે શું ટિપ્સ આપી ?
આથી, આ અંગે સાયબર એક્સપર્ટ દ્વારા લોકોને સાવચેત રહેવા માટેની ટિપ્સ અપાઇ છે. જેમાં સાયબર એક્સપર્ટનું કહેવું છે કે, 'વીજ કંપનીના નામે મેસેજ કરતાં લોકો પાસે તમારી માહિતી નથી હોતી. તમે જાતે તમારી માહિતી ઠગબાજોને આપો છો. તમારી માહિતી મેળવી તમારી જ સામે તેનો ઉપયોગ કરે છે. આ માહિતી થકી તમારૂં એકાઉન્ટ ખાલી થઇ શકે છે.'