સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) સહિત તમામ મંચ પર કાશ્મીર મુુદ્દે પછડાટ મળ્યા બાદ પણ પાકિસ્તાન હજુ પોતાની હરકતોથી વાજ આવતું નથી. પાકિસ્તાને હવે કાશ્મીર મુદ્દાને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં લઇ જવાનો નિર્ણય કર્યો છે.
યુએનએસસીમાં નિષ્ફળતા મળ્યા બાદ બોખલાયેલ પાકિસ્તાન હવે મરણિયું બન્યું છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશીએ જણાવ્યું છે કે અમે કાશ્મીર મુદ્દાને હવે અમે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઉઠાવીશું. કાશ્મીર મુદ્દે હવે પાકિસ્તાન નવો પેંતરો અજમાવવાની તૈયારીઓ કરી રહ્યું છે.
પાકિસ્તાન પોતાના જૂના સાથી રાષ્ટ્ર ચીનની મદદથી કાશ્મીર મુદ્દાને લઇને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પહોંચ્યું હતું. સુરક્ષા પરિષદમાં બંધ બારણે ૧પ સભ્ય રાષ્ટ્રોની બેઠક યોજાઇ હતી. આ ગુપ્ત બેઠક કોઇ પણ જાતના નિષ્કર્ષ વગર સમાપ્ત થઇ હતી. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન અને તેના સહયોગી ચીન દ્વારા કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પ્રયાસો નાકામિયાબ રહ્યા હતા.
અહેવાલ અનુસાર બેઠક બાદ ચીન સુરક્ષા પરિષદના અધ્યક્ષ પોલેન્ડ દ્વારા જારી કરવામાં આવેલ એક અખબારી નિવેદનને મહત્ત્વ આપી રહ્યું હતું. યુકેએ પણ ચીનનું સમર્થન કર્યું હતું. જોકે બેઠક બાદ પોલેન્ડ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી.
અહેવાલો અનુસાર ચીન સિવાય લગભગ તમામ દેશોએ ભારતનું સમર્થન કર્યું હતું. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોએ સ્પષ્ટપણે કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાનના સ્પેશિયલ ઇન્ફર્મેશન આસિસ્ટન્ટ ફિરદોશ આશિક અવાને જણાવ્યું હતું કે પાકિસ્તાની કેબિનેટે કાશ્મીર મુદ્દાને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લઇ જવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આ અગાઉ ઇમરાનખાને પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આઇસીજેમાં લઇ જશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો અત્યંત નાજુક દોરમાં છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે કાશ્મીર એ અમારો ઘરેલુ મામલો છે અને પાકિસ્તાને આ વાત સ્વીકારી લેવી જોઇએ.