કોરોનાના મહામારી વચ્ચે પણ કોરોના વોરિયર્સને અન્યાય થઈ રહ્યો છે. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલમાં 1500થી વધારે કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. એ વચ્ચે 300થી વધારેનો નર્સિંગ સ્ટાફે આજે સવારે હોબાળો કર્યા બાદ ધરણા પર બેઠો છે. નર્સિંગ સ્ટાફની માંગ પૂર્ણ પગાર આપવાની છે. આરોગ્ય સચિવ અને સરકાર શું કરી રહી છે? કોરોના વોરિયર્સના અસંતોષથી શું આપણે કોરોના સામે જીતી શકીશું.
સરકાર કંપનીઓને 21 હજાર ચુકવે નર્સિંગ સ્ટાફને 13 હજાર મળે
સરકાર અને આઉટસોર્સિંગ કંપનીની મિલિભગતથી કોરોના વોરિયર્સ પિસાઈ રહ્યા છે
નર્સિંગ સ્ટાફને કોરોના મહામરી વચ્ચે પણ 20 તારીખે પગાર મળે છે
15 દિવસ પહેલાં જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને મેડિકલ ઓફિસરોએ સુવિધાઓના અભાવને કારણે હોબાળો કર્યો હતો પરંતુ ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી શાંત પડાયા હતા. જ્યારે ફરી આજે આઉટસોર્સ કરેલાં 300થી વધારેનો નર્સિંગ સ્ટાફ પગાર ટાઈમસર ન મળતો હોવા અને ઓછા અપાતો હોવાની માંગ સાથે ધરણા પર બેઠો છે.
આઉટસોર્સિંગ કંપનીઓ નર્સને અડધો પગાર જ આપે છે
નર્સિંગ સ્ટાફ યુનિયનના સેક્રટરી વનરાજસિંહ ચૌહાણના કહેવા મુજબ, ગુજરાત સરકારે જે આઉટસોર્સ કરેલી રાજદીપ એન્ટરપ્રાઈઝને નર્સિંગ સ્ટાફનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કંપની અમને સરકારે ચુકવેલાં રૂપિયા કરતાં અડધો પગાર આપે છે. સરકાર દ્વારા કંપનીને દરેક નર્સ માટે 21364 રૂપિયા ચુકવાય છે જ્યારે અમને 11000થી 13000 જેટલો જ પગાર ચુકવાય છે. આટલી મોટી મહામારીમાં અમે જીવના જોખમે કામ કરી રહ્યા છીએ છતાં અમને રૂપિયા ના મળે તો કામ કેવી રીતે કરવું.
સિવિલ અન્ય હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનો પણ વિરોધ
વધુમા જણાવે છે કે રાજદીપ એન્ટરપ્રાઈઝ કંપની અને સરકારની મિલિભગતથી અમને અન્યાય થઈ રહ્યો છે. સરકાર કંપનીને જે રૂપિયા ચુકવે તેના કરતાં અડધા રૂપિયાનો પગાર અમને મળે છે આ ઉપરાંત મહિનાની 20 તારીખે પગાર આવે છે. આ કંપનીની રાજ્યની અન્ય ચાર સરકારી હોસ્પિટલોમાં પણ કોન્ટ્રાક્ટ છે. થોડા દિવસ પહેલાં વડનગર હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે પણ હોબાળો કર્યો હતો.
આરોગ્ય સચિવ મેડમ ક્યારે એક્શન લેશે?
આરોગ્ય સચિવ અને સરકારની કોરોના લડતની વામણી વાતો અને અધુરામાં પુરૂ આ નર્સિંગ સ્ટાફની હડતાળો દર્દીઓ જાય તો જાય ક્યાં. કોરોના જેવી મહામારીમાં પણ કોરોના વોરિયર્સ તરીકે લડી રહેલાં નર્સિંગ સ્ટાફની સાથે થતો આ અન્યાય ખુબ જ નિંદનીય છે. આરોગ્ય વિભાગની અણધણ વહીવટનું આ પરિણામ છે. આરોગ્ય સચિવ કેમ આઉટસોર્સિંગ કંપનીને આદેશ આપી નર્સિંગ સ્ટાફને પૂર્ણ પગાર કરવા કહી નથી શકતા.