જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો તમારે 2000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન માટે વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી)ની જરૂર નહીં પડે. સાથે જ આરબીઆઈએ પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ (PPI-Prepaid Payment Instrument) પણ રજૂ કર્યો છે. જેમાં 10,000 રૂપિયા સુધીની શોપિંગ કરી શકાય છે. દેશની મોટી ઈ-કોમર્સ કંપનીઓ અને મોબાઈલ એપ ટ્રાન્ઝેક્શનમાં ઓટીપીની જરૂર નહીં પડે. આવું કરવા પાછળનું મુખ્ય કારણ ટ્રાન્ઝેક્શનને ઝડપી અને સુવિધાજનક બનાવવું છે. RBIએ બેંકોને ઓટીપી વિના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવાની મંજૂરી આપી દીધી છે. આ સુવિધા ત્યાં જ લાગુ થશે જ્યાં મર્ચેન્ટ કસ્ટમરને વેરિફાઈ કરી શકે છે.
ઓનલાઈન શોપિંગ કરનાર લોકો માટે સારાં સમાચાર
2000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન માટે ઓટીપીની જરૂર નહીં પડે
ટ્રાન્ઝેક્શનને ઝડપી અને સુવિધાજનક બનાવવા લેવાયો નિર્ણય
RBIનો નિર્ણય
RBI દ્વારા તબક્કાવાર રીતે નિયમો હળવા કરવાને કારણે ઓટીપી વિના ટ્રાન્ઝેક્શન શક્ય બન્યું છે. આરબીઆઈએ ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે બેંકોને ઓટીપી વિના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપી છે.
હવે શું થશે
હવે ગ્રાહકો ઓનલાઈન ખરીદી કરતી વખતે ફટાફટ ટ્રાન્ઝેક્શન કરી શકશે. ફ્લિપકાર્ટે વિઝા સાથે એક નવી સેવા શરૂ કરી છે. તેનું નામ વિઝા સેફ ક્લિક (VSC) છે. તેની મદદથી ફ્લિપકાર્ટ પર 2000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરવા માટે વન ટાઇમ પાસવર્ડની જરૂર રહેશે નહીં.
10 હજાર રૂપિયાની શોપિંગ માટે નવી જાહેરાત
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ એક નવું પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (પીપીઆઈ) રજૂ કર્યું છે. આ પીપીઆઈ દ્વારા ખરીદી અથવા અન્ય સેવાઓ માટે વધુમાં વધુ 10,000 રૂપિયા ચૂકવવામાં આવી શકે છે. આ પીપીઆઈમાં માત્ર બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી શકાશે.
પીપીઆઇનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટ માટે કરવામાં આવશે, જેમાં બિલ ચુકવણી, વેપારી ચુકવણીઓ વગેરે સામેલ હશે. આરબીઆઈએ કહ્યું કે, ડિજિટલ પેમેન્ટ વધારવામાં પીપીઆઈ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે પીપીઆઈ એક નાણાકીય સાધન છે જેમાં પૈસા અગાઉથી મૂકી શકાય છે. આ પૈસાથી વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકાય છે.
દેશમાં અત્યારે ત્રણ પ્રકારના પીપીઆઇ કાર્યરત છે
મિત્રો અથવા સબંધીઓ વગેરેને પણ પીપીઆઇમાંથી પૈસા મોકલી શકાય છે. દેશમાં અત્યારે ત્રણ પ્રકારના પીપીઆઇ કાર્યરત છે. જેમાં સેમી ક્લોઝ્ડ સિસ્ટમ પીપીઆઈ, ક્લોઝ્ડ સિસ્ટમ પીપીઆઈ અને ઓપન સિસ્ટમ પીપીઆઈ છે. પીપીઆઈ કાર્ડ અને મોબાઈલ વોલેટના રૂપમાં જારી કરી શકાય છે.
બેંકો અને નોન-બેંકિંગ કંપનીઓ દ્વારા પીપીઆઈ આપવામાં આવશે
દેશમાં હાલ કાર્યરત કેટલાક મુખ્ય પીપીઆઇમાં પેટીએમ, મોબિક્વિક (સેમી ક્લોઝ્ડ સિસ્ટમ પીપીઆઈ), ગિફ્ટ કાર્ડ (ક્લોઝ્ડ સિસ્ટમ પીપીઆઇ), ટ્રાવેલ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ (ઓપન સિસ્ટમ પીપીઆઇ)નો સમાવેશ થાય છે. બેંકો અને નોન-બેંકિંગ કંપનીઓ દ્વારા પીપીઆઈ આપવામાં આવશે. આરબીઆઈએ કહ્યું કે, આ પીપીઆઈમાં પૈસા ભરી શકાય છે અને તેને કાર્ડ અથવા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જારી કરી શકાય છે. આ પ્રકારના પીપીઆઈનો ઉપયોગ માત્ર માલ અને સેવાઓની ખરીદીમાં થઈ શકે છે. બાકી નાણાં ફરીથી ખાતામાં ટ્રાન્સફર કરી શકાશે નહીં.