નીતિનભાઈ ભરતી ન હતા કરી શકતા એટલે ગાયે અડફેટે લીધા હોવાનું યુવરાજસિંહ દ્વારા નિવેદન અપાતા રાજકારણ ગરમાયું
AAP નેતા યુવરાજસિંહને નીતિન પટેલે આપ્યો જવાબ
`મારી પર કરેલી ટીપ્પણી નિમ્ન કક્ષાની': નીતિન પટેલ
વર્ષ 2026 સુધીમાં બે લાખ યુવાનની ભરતી થશે: નીતિન પટેલ
રોજગારી આપી હોય લોકોને આંકડા આપો: યુવરાજસિંહ
ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો તેમજ નેતાઓ દ્વારા શાબ્દિક પ્રહાર તેજ કરી દેવામાં આવ્યા છે. ગાય દ્વારા નીતિન પટેલને અડફેટે લેવા અંગે AAP નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટીપ્પણી પર નીતિન પટેલ પ્રહાર કર્યા છે. અને કહ્યું છે કે મારા પર કરવામાં આવેલી ટીપ્પણી નિમ્ન કક્ષાની છે, મારા અકસ્માત સાથે આ પ્રકારનું નિવેદન ગેરવ્યાજબી છે. 2021માં રોજગારીનું વચન આપ્યું હતું. જે મુજબ અમારી સરકાર વર્ષ 2026 સુધીમાં બે લાખ યુવાનની ભરતી કરશે. અમને ઈંટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે. મહત્વનું છે કે નીતિનભાઈ ભરતી ન હતા કરી શકતા એટલે ગાયે અડફેટે લીધા હોવાનું યુવરાજસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જે બાબતે નીતિન પટેલે વીડિયો જાહેર કરી નારાજગી દર્શાવી હતી. જુઓ નીતિન પટેલે શું કહ્યું?
સરકારે રોજગારી આપી હોય તો હિસાબ આપે: AAP નેતા યુવરાજસિંહ જાડેજા
તો બીજી તરફ નીતિન પટેલના AAP પર દુષ્પ્રચાર નિવેદન મામલે યુવરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. રોજગારીને લઈ વેધક સવાલ કરતાં કહ્યું છે કે સરકારે ૨ લાખ સરકારી, 20 લાખ અન્ય રોજગારીની વચન આપ્યું હતુ. સરકારે કેટલી રોજગારી આપી એનો હિસાબ આપવો જોઈએ. નીતિન કાકાને એમની પાર્ટી એ જ એમની સાથે અન્યાય કર્યો છે. ભાજપે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કર્યા એમની માફી માંગશે ? ભ્રષ્ટાચાર કરી રહેલા પોતાનાં નેતા માટે માફી માંગશે ? ખરેખર યુવાનોને રોજગારી આપી હોઈ તો ઓપન ડિબેટ કરવાની ચેલેન્જ પણ આપી હતી.
રખડતાં ઢોરની આડમાં રોજગારી પર સવાલ
મહત્વનું છે કે ગત 13 ઓગસ્ટના રોજ મહેસાણાના કડીમાં રખડતી ગાયે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અડફેટે લીધા હતા. કડીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જેથી તેમને ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. જે બાદ નીતિન પટેલે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર લઇને ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, અચાનક ગાય ટોળામાં આવી જતા ઘટના બની હતી. જેમાં મને સામાન્ય ઈજા પહોંતી હતી. જેથી કડીમાં પ્રાથમિક સારવાર લીધી હતી.આ મામલે યુવરાજસિંહ જાડેજાએ તંજ કસ્યો હતો અને વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે નીતિનભાઈ ભરતી ન હતા કરી શકતા એટલે ગાયે અડફેટે લીધા હતા. જેનો વળતો પ્રહાર નીતિન પટેલે શખત શબ્દોમાં રોજગારી મુદ્દે આપ્યો હતો. તો યુવરાજસિંહે ઓપન ડિબેટની ચેલેન્જ આપી હતી.