નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા આપવાનું નવું ડેથ વોરંટ જાહેર કરવા મુદ્દે આવતીકાલ સુધી સુનાવણી ટળી છે. ત્યારે નિર્ભયાની માતાએ ફરી રોષ ઠાલવ્યો અને કહ્યું કે આજે તો આશા હતી કે કોર્ટ ડેથ વોરંટ જાહેર કરે. પરંતું દોષિતો અને વકીલ એ.પી. સિંહ કોર્ટને ગુમરાહ કરવામાં ફરી સફળ થયા છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં દોષિત પવન ગુપ્તાએ કહ્યું હતું કે મારી પાસે કોઈ વકીલ નથી. ત્યારબાદ કોર્ટે તેને કાયદાકીય મદદની રજૂઆત કરી હતી.
દોષિતોને ફરી મળી છટકબારી
નિર્ભયાના દોષિતોનું ફરી ડેથ વોરંટ ન જાહેર થયું
દોષિત પવને વકીલ ન હોવાની કરી રજૂઆત
નિર્ભયાના ગુનેગારોને નવા ડેથ વોરંટ જાહેર કરવાની માંગને લઈને ટ્રાયલ કોર્ટમાં સુનાવણી થઈ. અદાલતમાં દોષી પવન ગુપ્તાએ કહ્યું કે તેની પાસે કોઈ વકીલ નથી. આ માટે કોર્ટે તેને કાયદાકીય મદદ આપવાની રજૂઆત કરી. દોષીઓને મદદ કરવાની વાતને લઈને નિર્ભયાની માતાએ કોર્ટમાં કહ્યું કે કેસને 7 વર્ષ થઈ ચૂક્યા છે. હું પણ માણસ છું. મારા અધિકારોનું શું થશે? હું તમારી સામે હાથ જોડું છું, કૃપા કરીને દોષીઓને ડેથ વોરંટ જાહેર કરો. નિર્ભયાની માતા કોર્ટમાં આ બાબતને લઈને રડી પડી. બંને પક્ષની દલીલ સાંભળીને કોર્ટે કેસની સુનાવણી ગુરુવાર સુધી સ્થગિત કરી છે.
મારો ભરોસો અને આશા તૂટી રહ્યા છેઃ નિર્ભયાની માતા
સુનાવણી સ્થગિત થવાની વાત સાંભળીને નિર્ભયાની માતા ફરી એકવાર રડી પડી. જ્યારે કોર્ટ રૂમમાંથી બહાર આવી ત્યારે તેણે કહ્યું કે હવે મારો ભરોસો અને આશા તૂટી રહ્યા છે. કોર્ટે દોષીઓની તરફથી મોડું કરવાની રણનીતિ સમજી છે. જો હવે દોષી પવનને નવો વકીલ આપવામાં આવે તો કેસની ફાઈલો જોવા અને સમજવામાં સમય લાગે. તેઓએ કહ્યું કે મારી દીકરીને ન્યાય અપાવવા માટે હું ભટકી રહી છું. દોષી સજામાં વિલંબ માટે નુસખા અપનાવી રહ્યા છે. મને ખબર નથી પડતી કે કોર્ટ આ વાતને કેમ સમજતી નથી.
દોષી છેલ્લા શ્વાસ સુધી કાયદાકીય મદદનો હકદારઃ કોર્ટ
કોર્ટે કહ્યું કે કોઈ પણ દોષી પોતાના છેલ્લા શ્વાસ સુધી કાયદાકીય મદદ મેળવવાનો હકદાર છે. કોર્ટે તિહાર જેલના અધિકારીને વકીલોનું લિસ્ટ દોષી પવનને આપવાનો આદેશ કર્યો છે. જ્યારે પવનને પોતાની પસંદનો વકીલ રાખવાની પરમિશન પણ છે. ત્યારબાદ દિલ્હીના ડીએલએસએ દ્વારા પવનના પિતાને વકીલોનું લિસ્ટ સોંપીને પવન માટે નવા વકીલની પસંદગી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.