કેરળમાં કોરોના વાયરસના સંક્રમણ બાદ વધુ એક વાયરસે લોકોની ચિંતા વધારી દીધી છે. આ છે નિપાહ વાયરસ. રવિવારે આ વાયરસની ઝપેટમાં આવતા 12 વર્ષના એક બાળકનું મોત થયુ છે. આવો એક નજર નાખીએ નિપાહ વાયરસના લક્ષણ અને સારવાર પર.
ભારતમાં કોરોના બાદ હવે Nipah Virusનો ભય
શું છે નિપાહ વાયરસ અને માણસમાં કેવીરીતે ફેલાય છે?
નિપાહ વાયરસના સંક્રમણને કેવીરીતે રોકી શકાય?
શું છે નિપાહ વાયરસ?
નિપાહ વાયરસ એક પ્રાણીઓ દ્વારા ફેલાતી બિમારી છે, એટલેકે જે પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય છે. આ વાયરસ ફક્ત એવા પ્રાણીઓ દ્વારા માણસમા પ્રવેશે છે, જેમાં કરોડરજ્જુ અને હાડપિંજર હોય છે. આ ઉપરાંત વાયરસના એક માણસમાંથી બીજા માણસમાં ફેલાવવાના કેટલાંક કેસો સામે આવ્યાં છે. પ્રથમ વખત મલેશિયામાં ડુક્કર પાળનારા ખેડૂતોમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યાં હતા. આ બિમારી પશ્ચિમ બંગાળના સિલીગુડ્ડીમાં 2001 અને 2007માં સામે આવી હતી. નિષ્ણાંતો મુજબ, આ વાયરસ એક ખાસ વિસ્તારમાં જ હોય છે. એટલેકે મોટાભાગના વિસ્તાર સુધી મર્યાદિત રહે છે અને બિમાર દર્દીઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
કેવીરીતે ફેલાય છે નિપાહ વાયરસ?
નિપાહ વાયરસ સંક્રમિત ડુક્કર અને ફળ ખાતા ચામાચિડીયા દ્વારા ફેલાય છે. લાળ, પેશાબ દ્વારા આ ફેલાય છે. ડબ્લ્યુએચઓ મુજબ, બાંગ્લાદેશ અને ભારતમાં આ વાયરસ સામાન્ય રીતે ફળ અથવવા ફળના ઉત્પાદન જેમ કે કાચા ખજૂરના રસનું સેવન કરવાથી ફેલાય છે. આ એવા ફળો છે, જે ચામાચિડીયાના પેશાબ અને લાળથી દૂષિત થાય છે. સંક્રમણનું સૌથી મોટું આ કારણ છે.
નિપાહ વાયરસના લક્ષણો
ડબ્લ્યુએચઓ મુજબ, સંક્રમિત લોકોમાં શરૂઆતમાં તાવ, માથાનો દુ:ખાવો, સ્નાયુઓમાં દુ:ખાવો, ઉલ્ટી અથવા ગળુ સુકાવુ જેવા લક્ષણો વિકસિત થાય છે. ત્યારબાદ ચક્કર આવવા અને એન્સેફલાઈટિસ પણ થઈ શકે છે. અમુક લોકો અસામાન્ય નિમોનિયા અને ગંભીર શ્વસન સમસ્યાઓનો અનુભવ કરે છે. ગંભીર કેસોમાં એન્સેફલાઈટિસ થાય છે. ત્યારબાદ દર્દીઓ 24 થી 48 કલાકની અંદર કોમામાં જતા રહે છે. આ વાયરસ 4 થી 14 દિવસો સુધી સક્રિય રહે છે.
નિપાહ વાયરસ માટે કોઈ દવા કે વેક્સિન છે?
ડબ્લ્યુએચઓ મુજબ, અત્યારે નિપાહ વાયરસના સંક્રમણ સામે લડવા માટે કોઈ કારગત દવા કે રસી નથી. કોરોનાની જેમ આ વાયરસના દર્દીઓને પણ સારા સારસંભાળની જરૂર છે.
કેવીરીતે રોકી શકાય છે આ વાયરસનું સંક્રમણ?
ડબ્લ્યુએચઓ સલાહ આપે છે કે, જો તમને નિપાહ વાયરસની શંકા છે, તો પશુઓના પરિસરને તાત્કાલિક છોડી દેવુ જોઈએ. આ જગ્યાને ક્વોરોન્ટાઈન કરી દો. લોકોમાં નિપાહ વાયરસના સંક્રમણના જોખમને ઘટાડવા માટે સંક્રમિત પ્રાણીઓને મારી નાખો. પ્રાણીઓના મૃતદેહોને કોઈ નિષ્ણાંતની દેખરેખમાં દફનાવી દો. સંક્રમિત થયેલા ખેતરોમાંથી પ્રાણીઓની અવર-જવરને અન્ય વિસ્તારોમાં જવા માટે પ્રતિબંધ લગાવી દો. પ્રતિબંધ કરવાથી બિમારીના પ્રસારને ઘટાડી શકાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ લોકોને બિમાર વ્યક્તિ અથવા પ્રાણીઓના સંપર્કમાં આવ્યાં બાદ સાબુ અને પાણીથી હાથ ધોવાની સલાહ આપે છે. કાચા ખજૂરના રસનું સેવન ના કરવુ જોઈએ. ફક્ત ધોયેલા ફળોનું સેવન કરો.