અનંતકાળથી વહેતી નર્મદા નદી ભર શિયાળે અંતકાળે પહોંચી છે. ઇતિહાસમાં પ્રથમ વખત ખળખળ વહેતીમાં નર્મદાની રફતાર ભરૂચના તવરા ગામ નજીક થંબી ગઈ છે. નદી સુકાઈ જતાં જળ માર્ગ હવે જમીન માર્ગ બન્યો છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી ન છોડવામાં આવતાં આજે નદીમાં વાહનો અને લોકોની અવર-જવર શરૂ થતાં નર્મદાએ અસ્તિત્વ ગુમાવ્યું હોવાની સાબિતી મળી રહી છે.
નર્મદા નદીમાં ડેમમાંથી પાણી ન છોડવાના કારણે જાણે કોઈ નાળું વહી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે નર્મદા પર ડેમ ન હતો ત્યારે આ નદી બન્નેકાંઠે વહેતી હતી. જાણે કોઈ મહાસાગરની ખાડી જ જોઈ લો પરંતુ હવે નદીમાં પાણીની આવક ઘટી જવાના કારણે નદી ભરૂચ શહેરથી જાણે કિલોમીટરો સુધી દૂર જતી રહી હોય તેવું લાગ છે.
નર્મદા નદી પર વિવિધ પ્રોજેક્ટોના કારણે અનેક રાજકીય હસ્તીઓએ ખ્યાતિ મેળવી લીધી પરંતુ ખુદ નર્મદા મહાનદી તરીકેની ખ્યાતિ ગુમાવી રહી છે. નર્મદા નદીમાં પૂરતું પાણી ન હોવાના કારણે ભરુચથી છેક અંકલેશ્વર સુધી સાંકડા નાળા જેવી લાગી રહી છે. લોકમાતાનું પ્રાચીન વૈભવ અને રૂપ આજે જોવા મળતું નથી જેનું દુ:ખ સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે.
ભૃગુ કચ્છમાં પુરાતન કાળથી અત્યાર સુધી કોઈએ ક્યારેય પાવન નર્મદામાં નાવડીઓ સિવાય અન્ય કોઈ વાહનો ફરતા જોયા ન હતા પરંતુ હવે ઇતિહાસમાં પ્રથમ વખત નદીના પટ પર વાહનો ફરતા હોવાના દ્રશ્યો નિકોરા ગામ નજીક જોવા મળી હતા.
સરકારની વિકાસલક્ષી નીતિના કારણે આજે ભરૂચમાં નર્મદા નદી ચાલતા પાર કરી શકાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. નદીના ઇતિહાસમા પ્રથમ વખત બાઇક બળદ ગાડુ સાયકલ ટ્રેકટર રીક્ષા અને પગપાળા નદી પસાર કરતા ગ્રામજનોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
જેને તમે સરકારની દેન ગણો કે નિષ્ફળતા જેના લીધે આજે કેવડિયાથી ભાડભુત સુધી નર્મદા નદી અસ્તિત્વનો જંગ ખેલી રહી છે. તો બીજી તરફ નદીમાં પાણી નહીં છોડવામાં આવતા સિંચાઈ માટેના ભૂગર્ભ જળ ઊંડા ઊતરી ગયા છે. જેના કારણે નર્મદા કાંઠાની ખેતીવાડી પર સંકટ ઊભું થયું છે.
છેલ્લાં બે વર્ષથી નર્મદા ડેમના હેઠવાસની સ્થિતિ ખૂબ જ કપરી બની રહી છે. નર્મદા ગુજરાતની જીવાદોરી છે. તો સાથે ભરૂચની પણ જીવાદોરી છે પરુંત ડેમ બન્યા બાદ સરદાર સરોવર ડેમથી લઈને દરિયાના મુખ સુધીના વિસ્તાર સુધી નર્મદા વિલુપ્ત થઈ રહી છે. જેની ચિંતા નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ અને ભરુચ સિટીઝન કાઉન્સિલ કરી રહી છે.
જેમણે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નર્મદા કંટ્રોલ ઓથોરિટી સરદાર સરોવર નિગમ લિમિટેડ એમ દરેક જગ્યાએ રજૂઆત કરી છે પરંતુ પરિણામ હમેશ મુજબ શૂન્ય જ રહ્યું છે. કેમ કે 2024 સુધી નર્મદામાંથી જળ વિતરણ નીતિ પર નવી કોઈ વિચારણા નહી કરવાનો નિયમને અધિકારીઓ વળગી રહ્યા છે પરંતુ સામાજિક કાર્યકરો માનવતાના ધોરણે પણ ભરુચ શહેર કાંઠેથી પસાર થતી નર્મદા નદીમાં પાણી ઠાલવવા માગ કરી રહ્યા છે.
હાલ શહેરના ગોલ્ડન બ્રિજ નજીક નદી એક નાળા સમાન બની છે. તો બીજી તરફ સરદાર બ્રિજથી કબીરવડ સુધી નદી અસ્તિત્વ ગુમાવી બેઠી છે. ડેમમાંથી પાણી ન છોડવાની બાબત અને દરિયાના પાણીનું નર્મદા નદીમાં મિશ્રણ થવું તે બાબત ભવિષ્યમાં ખતરાની ઘંટી વગાડતી જોવા મળી રહી છે. ત્યારે લોકો પણ લાચાર બની નદી તરફ જોઈ રહ્યા છે.