મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 134.20 મીટરે પહોંચી ગઈ છે.
નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે. ઉપરવાસમાંથી 4 લાખ 61 હજાર 376 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી નર્મદા ડેમના 23 દરવાજા 3.20 મીટર ખોલી દેવામાં આવ્યા છે અને નર્મદા નદીમાં 4 લાખ 30 હજાર 855 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં 138 મીટર સુધી સપાટી પહોંચી શકે છે.
જ્યારે રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન અને કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે. તો નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા કેવડિયા નજીકનો ગોરા બ્રિજ 3 દિવસથી પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જેના કારણે જિલ્લાના નદી કિનારે આવેલા 26 ગામને અલર્ટ કરી દેવામાં આવ્યા છે.