ચારેય પાટીદાર આગેવાનોની બેઠક શરૂ થાય એ પહેલાં જ નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, 'આજે અમે ખોડલધામના દર્શને, શુભેચ્છા મુલાકાત માટે તેમજ સામાજિક બાબતો અને રાજકીય બાબતોની આગળની ચર્ચા માટે અમે આજે આ મીટિંગ બોલાવી છે. સામાજિક, રાજકીય, તેમજ સામાજિક વિકાસના મુદ્દાને લઇને અમે આજે ભેગાં થયા છીએ.'
વધુમાં રાજકોટના આટકોટમાં નિર્મિત પટેલ સમાજની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં નરેશ પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે. જેને લઇને સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો છે. જે હોસ્પિટલનું લોકાર્પણ 29 મેના રોજ વડાપ્રધાન મોદી કરશે.
ખોડલધામનું નામ જો કાર્ડમાં ન હોય તો સ્વાભાવિક છે કે લોકોમાં અંદર થોડીક નારાજગી હોય
ત્યારે આ મામલે નરેશ પટેલે જણાવ્યું કે, 'એ તો આયોજકોની ઇચ્છાની વાત છે. કોઇનું નામ લખવું કે ના લખવું તે તેની પર હોય છે. ખોડલધામ લેઉઆ પટેલની એક માતૃધામ સંસ્થા છે અને એનું નામ ન લખાણું હોય ત્યારે નરેશ પટેલ ગૌણ હોય છે. પરંતુ ખોડલધામનું નામ ન આવે તો સ્વાભાવિક છે કે લોકો રોષે ભરાય અને વાત સામે આવે. આ મામલે ઘણા લોકોના ફોન આવે છે અને ઘણા લોકો રોષે ભરાયેલા છે કે ખોડલધામ પાટીદાર લેઉઆ પટેલની આટલી મોટી સંસ્થા છે છતાં તેનું નામ જો કાર્ડમાં ન હોય તો સ્વાભાવિક છે કે લોકોમાં અંદર થોડીક નારાજગી હોય.'